Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં લેવાતા કેટલાક નિર્ણયો કેટલીક વખત ભારે ચર્ચાનો વિષય બની જતા હોય છે, આવો જ વધુ એક નિર્ણય સામે આવ્યો છે તેને લઈને આગામી દિવસોમાં વિવાદ થાય તો પણ નવાઈ નહિ, વાત એવી છે કે રાજ્ય સરકારનો પરિપત્ર એવું કહે છે કોઈપણ સરકારી કચેરીમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર પરત લેવા હોય તો રાજ્ય સરકારની પૂર્વ મંજુરી બાદ લેવા તે પહેલા એક પણ પ્રકારે આવા કર્મચારીઓ કે અધિકારીઓ જે નિવૃત થયા હોય તેને લેવા નહિ
પણ આ તો જામનગર મહાનગરપાલિકા છે અહી બધું જ ચાલે વાત માત્ર શાશકોની પસંદગી હોવી જોઈએ આવું જ કેટલાક કિસ્સાઓમાં થોડા સમય પૂર્વે સામે આવ્યું અને મનપાના ઓડીટ નહિ પરંતુ લોકલ ફંડ ઓડીટ વિભાગે એવો પેરા પ્રસ્તુત કર્યો નિવૃત્તિ બાદ ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પરમારને કરાર આધારિત પુનઃ નિયુક્તિ આપી અને 24000 પ્રતિમાસના પગારથી રાખવામાં આવેલ તે જ રીતે તત્કાલીન અને બાદમાં છુટા થયેલ મ્યુ.કમિશ્નરના પર્સનલ આસિસ્ટન્ટ પી.એ.બીપીન પરમારને પણ કરાર આધારિત માસિક 20,000 પર પુનઃ નિયુક્ત કરવામાં આવેલ…
જે અંગે મનપાના ઓડિટ વિભાગની ઉપર પણ લોકલ ફંડ ઓડિટ વિભાગ હોય છે જે પણ મનપાના ઓડિટ કરતા હોય છે તે લોકલ ફન્ડ ઓડિટ દ્વારા ઇન્ચાર્જ નિવૃત સેક્રેટરી અશોક પરમાર અને કમિશ્નરના પી.એ. બિપીન પરમારની નિમણુક અને નિવૃત્તિ બાદ ચૂકવેલ પગારને લઈને પારા ઉપસ્થિત કરેલ અને બન્ને પાસેથી રિકવરી કરવા જણાવેલ જે બાદ તાજેતરમાં બિપીન પરમારને 1/11/2022 થી 6/4/2023 સુધીના સમયગાળાના 20,000 લેખે અને ઇન્ચાર્જ સેક્રેટરી શાશકપક્ષના ખાસ એવા અશોક પરમારને 1/3/2023 થી ઓગસ્ટ 2023 સુધીના પ્રતિમાસ 24000 એક માસના લેખે તેમના બેંક એકાઉન્ટમાં પહોચી ગયા હોવાનું સામે આવ્યું છે. મનપાના સુત્રો કહે છે કે હજુ આવા બીજા બિલો જે બાકી છે તે પાસ કરવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે લોકલ ફંડ ઓડીટ દ્વારા કાઢવામાં આવેલ પેરાનો કોઈ મતલબ જ નથી રહેતો તેવું આ બીલો પાસ કરી દેવાથી સ્પષ્ટ થાય છે, વધુમાં સ્થાનિક લેવલે કોઈ ચેકિંગ પ્રક્રિયા જ નથી કે બધું લોલમલોલ અને પોલમપોલ ચાલે છે તેવી ચર્ચાઓએ મનપામાં જોર પકડ્યું છે.
સરકારનો એક સ્પષ્ટ નિયમ એવો છે કે, નિવૃત અધિકારી કે કર્મચારીને ફરીથી કામ પર રાખતી વખતે, સરકારની પૂર્વ મંજૂરી લેવી બધાં જ કિસ્સાઓમાં ફરજિયાત છે, મંજુરી સિવાય પુનઃ નિયુક્તિ થઇ શકે નહિ, આમ છતાં જામનગર મહાનગરપાલિકામાં આ નિયમનો ભંગ હમણાંથી નહિ કેટલાય વર્ષોથી કરવામાં આવે છે. વગે વાવણાં થાય છે અને લાગતાં વળગતાંઓને સાચવી લેવામાં આવે છે અને કરદાતાઓની તિજોરીમાંથી વેતન ચૂકવ્યે રાખવામાં આવે છે !