Mysamachar.in-જામનગર:
જામનગરમાં ટ્રાફિક નિયમન સંદર્ભે અને પાર્કિંગ સહિતનાં મુદે જંગલરાજ વર્ષોથી જાણીતું છે. એક જમાનામાં શહેરમાં ટ્રાફિક પોલીસની ધાક રહેતી અને વાહનચાલકો તથા ટ્રાફિક નિયમન પર આ શાખાનો અંકુશ હતો. નિયમોનાં ભંગ બદલ કસૂરવાર વાહનચાલકોને દંડ પણ થતો. શહેર જેમ જેમ મહાનગર બનતું ગયું એમ એમ શહેરમાંથી ટ્રાફિક પોલીસ અદ્રશ્ય થતી ગઈ ! અને, શહેરમાં જંગલરાજ શરૂ થયું. માત્ર છકડારિક્ષાચાલકોની જ વાત કરીએ તો, તેઓ પોતાને રસ્તાઓના માલિકો સમજે છે ! તેઓ જાણે છે, તેઓને ટોકનાર કોઈ નથી. ક્યારેક કોઈ નગરજન કે અન્ય વાહનચાલકો ટપોરી પ્રકારના છકડારિક્ષાચાલકોને ટપારે તો આ રિક્ષાચાલકો તકરાર અથવા હુમલો કરે છે અને એ પણ જાહેરમાં ! છકડા રિક્ષાચાલકોની દાદાગીરી માઝા મૂકી રહી છે. તેઓ ધમધમતાં માર્ગો પર ગમે ત્યાં અચાનક ટ્રાફિકને અવરોધરૂપ રીતે પોતાનું વાહન ઉભું રાખી દે છે ! ગમે ત્યારે અચાનક પોતાનાં વાહનને બ્રેક લગાવી દે છે જેને કારણે પાછળથી આવતું વાહન છકડારિક્ષા સાથે અથડાઈ પડે છે અને થાય છે બબાલ….
આવાં કેટલાંક કિસ્સામાં પાછળનું વાહન અથડાઈ પડવાથી અકસ્માત સર્જાય છે, ખાનગી વાહનોને નુકસાની પહોંચે છે. ઘણાં કિસ્સાઓમાં વાહનચાલકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. બીજી બાજુ છકડારિક્ષાચાલકો સુધરવા તૈયાર નથી. તેઓ ધમધમતાં માર્ગોને પોતાનાં ઘરનાં ફળિયા લેખે છે ! હોસ્પિટલ, એસટી, સુપર માર્કેટ અને ટાઉનહોલ તથા લાલ બંગલા સર્કલ સહિતનાં વિસ્તારોમાં આ પ્રકારનો ભયંકર ત્રાસ રોજની બાબત બની ચૂકી હોવા છતાં ટ્રાફિક પોલીસ શહેરમાં ધ્યાન આપવાને બદલે હાઈવે પરની ખૂલ્લી હવાની મોજ માણતી રહે છે. આવાં કારણોથી શહેરમાં છકડારિક્ષાચાલકોની દાદાગીરી અનિયંત્રિત બની નગરજનોને પરેશાન કરી રહી છે.