Mysamachar.in-જામનગર:
અકસ્માત અતિ ગંભીર અને જીવલેણ મુદ્દો છે પરંતુ કમભાગ્યે આપણે તેને હળવાશથી લઈએ છીએ ! અકસ્માતોમાં અસંખ્ય પરિવારો બરબાદ થતાં રહે છે ! હજારો લોકો અકસ્માતોને કારણે આજીવનખોડખાંપણ ભેટમાં મેળવે છે. અકસ્માત સ્થળે વાહન વ્યવહાર પર માઠી અસરો થતી હોય છે. જાન ઉપરાંત માલની પણ નુકસાની થતી હોય છે. અને, અકસ્માતોને કારણે આરોગ્ય, પોલીસ તથા અદાલત તેમજ વીમા કંપનીઓ સહિતનાં ક્ષેત્રો પર વધારાનો કાર્યબોજ આવી પડતો હોય છે. લાખો માનવકલાકો વેડફાતા હોય છે. સમગ્ર મુદ્દો ટૂંકમાં અતિ ગંભીર છે. પરંતુ કમનસીબી એ છે કે, જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજય અને દેશમાં રોજ સંખ્યાબંધ અકસ્માતો થતાં રહે છે ! અકસ્માતો અટકાવી શકાય તેવી બાબત છે, અકસ્માતો ઘટાડી પણ શકાય.
રસ્તાઓ યોગ્ય ડિઝાઇન ધરાવતાં હોય, વાહનચાલકોને તકલીફ ન પડે તેવાં માર્ગો હોય. રાજય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરાંત જિલ્લાઓમાં સ્થાનિક માર્ગો પર દોડતાં વાહનોની ગતિને નિયંત્રિત કરી શકાય. માર્ગ સલામતીનાં નિયમોનું જ્યાં પાલન ન થતું હોય એવાં કિસ્સાઓમાં કેમેરા અને સેન્સર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય. ટેક્નોલોજીનો વ્યાપ વધારી શકાય. હાઈવે પરનાં ડિવાઈડરને અયોગ્ય ગેપરહિત બનાવી શકાય. માર્ગો પર આવી ચડતાં પશુઓને નિયંત્રિત કરી શકાય. આ પ્રકારના ઘણાં પગલાં લઈ શકાય. પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ બધું કરે કોણ ?! આપણે અકસ્માતનાં મુદ્દાને હળવાશથી લેવાની પછાત માનસિકતા ધરાવીએ છીએ અને તેને કારણે કડવાં પરિણામો પણ ભોગવીએ છીએ !
વાહન ચલાવવું અને આકસ્મિક પરિસ્થિતિમાં અકસ્માતથી બચવાની ક્ષમતા અને સજ્જતા હોવી એ બંને અલગ મેટર છે. આપણાં મોટાભાગના વાહનચાલકો નિપૂણ નથી હોતાં ! અણઘડ લોકોને પણ વાહન ચલાવવાનો અધિકાર આપોઆપ અથવા ભ્રષ્ટાચારથી પ્રાપ્ત થઈ જતો હોય છે ! ઘણાં કિસ્સાઓમાં અયોગ્ય સ્થિતિ ધરાવતાં ખખડધજ વાહનો પણ ધોરીમાર્ગો પર બેફામ દોડતાં રહેતાં હોય છે ! હાઈવે પર ગતિ નિયંત્રણ અને માર્ગ સલામતીનાં નિયમોનું પાલન કરાવવાની જેઓની જવાબદારીઓ છે તેવાં તંત્રો અન્ય અંગત લાભદાયી કામોમાં વ્યસ્ત જોવાં મળતાં હોય છે. ક્યાંય, કોઈ મોનિટરીંગ નજરે ચડતું નથી. સર્વત્ર અંધાધૂંધ સ્થિતિ જોવા મળે છે ! જેને કારણે અકસ્માતો આપણે ત્યાં નવી બાબત નથી! સૌ માઠાં પરિણામો ભોગવવા મજબૂર બને છે ! આપણે આ સ્થિતિ નિવારી ન શકીએ ?! માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીઓ ચીલાચાલુ અને રેઢિયાળ હોવાથી માર્ગ સલામતી વ્યવસ્થા જડબેસલાક બનતી રહે છે અને માણસની મહામૂલી જિંદગીનો ભોગ લેવાતો રહે છે. આપણે વેળાસર જાગી જઈએ, એ જ એક ઉપાય છે.