Mysamachar.in-જામનગર:
અણઘડ પથ્થરને તરાશીને એમાંથી પ્રતિમા બનાવવાનું, આત્માના અજવાળાંને સંકોરવાનું અને વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણનું છે, શિક્ષકનું છે, શાળાનું છે.પ્રત્યેક વાલી પોતાના ઉપવનની કળી પૂર્ણ વિકસિત, સુવાસિત અને આકર્ષક પુષ્પ બને તે માટે સ્વાભાવિક રીતે પ્રયત્નશીલ હોય છે અને એટલે જ જ્યાં પોતાનાં સંતાનને સારી કેળવણી મળે તેવી શાળા પસંદ કરે છે. જાત-જાતના અભ્યાસક્રમો અને ભાતભાતના ભણતરના વિકલ્પો આપતી શાળાઓમાં એડમીશન માટે સામ- દામ- દંડ- ભેદનો ઉપયોગ કરતા વાલીઓની વાતો સાંભળીએ ત્યારે આપણને સમજાય કે, જેમ કુદરત પાસે માણસ લાચાર છે એમ જ સારી ગણાતી શાળાઓના સંચાલકો પાસે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સંતાનોના વાલીઓ લાચાર છે!
હજુ હમણાં સુધી વિચિત્રતા એ હતી કે, સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવાનો વખત આવે અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતાં નાકે દમ આવી જાય પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચક્ર ઉલટું ફરવાનું શરુ થયું છે, જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલી જામનગર મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-1 છે જયાં એડમિશન માટે વેઈટીંગ લિસ્ટ છે અને આજુબાજુની બધી ખાનગી શાળાઓમાંથી પોતાનાં સંતાનોને ઉઠાડીને વાલીઓ આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત સ્વીકારીને પાયાની જરૂરિયાતો સાથેની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે લાલવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નં-1 ના નવા મકાનના નિર્માણનો પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સંપન્ન કરાયો છે.આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે. સી.સી.ટી.વી. કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણદ્વારા હરિયાળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સાથે સહયોગીતામાં મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૌષ્ટિક આહારની જરૂરિયાત સંતોષવામાં આવી છે.જામનગર જિલ્લાની આ અને આવી કેટલીયે સરકારી શાળાઓ એ ઉત્તમ માળખાંકીય સુવિધા અને શ્રેષ્ઠ ગુણવતાના સંકલ્પને સાકાર કર્યો છે.