Mysamachar.in-જામનગર:
થોડા વર્ષો પૂર્વે સ્વાઈનફ્લુના કેસો ખુબ જોવા મળતા હતા અને આ રોગગ્રસ્ત દર્દીઓમાંથી કેટલાક દર્દીઓના મોત પણ થતા હતા જો કે કોરોના આવતા લોકો કોરોનાની બીમારીથી ચિંતાતુર હતા પણ સ્વાઈનફ્લુના કેસો સમયાંતરે ફરી જોવા મળી રહ્યા છે તે વાત હકીકત છે. સ્વાઈનફ્લુ એવા લોકો જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો, ડાયાબિટીસ કે એચઆઈવીથી ગ્રસ્ત લોકો, દમ અને બ્રોન્કાઈટીસના દર્દીઓ, નશો કરનાર વ્યક્તિ, કુપોષણ, એનીમિયા કે અન્ય ક્રોનિક બીમારીઓથી પ્રભાવિત લોકો ગર્ભવતી મહિલાઓ તેની ઝપેટમાં જલ્દી આવે છે. આવી મહિલાઓમાં ચેપથી મૃત્યુ સુધી પણ પહોંચે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં સ્વાઈન ફ્લૂના કેસમાં એકાએક વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્વાઈન ફ્લૂના રાજ્યસભરમાં કુલ 180 જેટલા કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કેસમાં ગુજરાત દેશભરમાં ચોથા સ્થાને છે.
જો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર મેડીકલ કોલેજના એડીશનલ ડીન અને મેડીસીન વિભાગના તબીબ ડો.એસ.એસ.ચેટરજીએ Mysamachar.in સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે “જામનગરમાં પણ ત્રણેક માસમાં સરકારી અને ખાનગી એમ બન્ને હોસ્પિટલ મળી 10 જેટલા કેસો નોંધાયા છે જે કેસો સામે આવ્યા તેમાં વધુ બાળદર્દીઓ હતા જો કે તમામ સ્વસ્થ અને ખતરાથી બહાર થઇ જતા તેવોને ડીસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું છે અને રાહતની વાત એ છે કે કોઈપણ દર્દીઓના સ્વાઈનફ્લુ ને કારણે મોત થયા નથી”
તબીબોના મતે સ્વાઈન ફ્લૂ મિક્સ ઋતુને કારણે વકર્યો છે. ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે,. સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે. ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.
-સ્વાઈન ફ્લૂના લક્ષણો
તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ થાય છે.