Mysamachar.in:જામનગર
તમારે ત્યાં હવા પાણી કેવાંક ? સામાન્ય રીતે ઘણાં લોકો જુદાં-જુદાં વિસ્તારો અંગે એકમેકને આ પ્રકારની પૂછપરછ કરતાં હોય છે. કારણ કે, માણસની જિંદગીમાં સ્થાનિક હવા પાણી સૌથી મોટો ભાગ ભજવતાં હોય છે. અને તેથી માણસનાં સુખચેનનો આધાર હવા પાણી પર હોય છે, આર્થિક પ્રવૃતિઓ સેકન્ડ ચીજ છે કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા – એ કહેવત ગુજરાતી ભાષામાં સૈકાઓ જૂની અને સૌથી મહત્વની છે.
ગુજરાતમાં તમામ 33 જિલ્લાઓમાં પાણીની ડિમાન્ડ કેવી છે. જિલ્લાઓમાં પાણીની સપ્લાયની શું સ્થિતિ છે. પાણીમાં કેવાં પ્રકારના તત્વો છે. સિંચાઇના પાણીની સુવિધાઓ કેવી છે. વગેરે બાબતોની ચકાસણી માટે તાજેતરમાં એક વ્યાપક સર્વે થયો હતો. આ સર્વેના તારણો જાણવાલાયક છે. એમાં પણ જામનગર અને દ્વારકા જિલ્લામાં પાણીની શું હાલત છે ?! તે જાણવું રસપ્રદ રહેશે, આ સર્વેનાં તારણો મુજબ.
રાજ્યનાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં જામનગર-દ્વારકા જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ પ્રમાણમાં ઓછી છે. સિંચાઈ માટેની કેનાલો પણ ઓછી છે અને ભૂગર્ભજળ ઉલેચવા ટ્યૂબ વેલ પણ અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઓછાં છે, તેથી વરસાદ પર વધુ આધાર રાખવો પડે છે ! ગુજરાતમાં 33 પૈકી 16 જિલ્લાઓ એવાં છે, જે પર્યાપ્ત માત્રામાં પાણીદાર નથી ! અને, ઘણાં બધાં જિલ્લાઓમાં પાણીની ક્વોલિટી એ પ્રકારની છે, જેને કારણે ઘણી બધી ઉપાધિઓ પણ છે !
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને અન્ય કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ સર્વે કર્યો છે. સર્વેના તારણો મુજબ, અમદાવાદ – ખેડા – વડોદરા – સુરત અને પાટણ એવાં જિલ્લાઓ છે જ્યાં પાણી માટેના પ્રાથમિક સ્ત્રોત તરીકે કેનાલ અને ટ્યૂબ વેલ છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આ સુવિધાઓ પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ છે. ભાવનગર, વલસાડ, આણંદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં કેનાલો પુષ્કળ પ્રમાણમાં છે. જયારે રાજકોટ, અમરેલી અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં પાણીનાં પ્રાથમિક સ્ત્રોત ટયૂબવેલ છે.
જામનગર, બોટાદ, ડાંગ વગેરે જિલ્લાઓ એવાં જ્યાં સિંચાઇ માટે કેનાલો તથા ટયૂબવેલ ઓછાં છે, સર્વેનાં તારણો આ પ્રકારના છે. આ ઉપરાંત સર્વેનાં તારણો એમ પણ જણાવે છે કે, આણંદ જિલ્લામાં ભૂગર્ભજળમાં આર્સેનિક તત્વ વધુ છે. રાજકોટ, મોરબી, ભાવનગર વગેરે જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફલોરાઈડ જોવા મળે છે. અમદાવાદ, ખેડા અને બનાસકાંઠામાં આર્સેનિક તત્વ અને ફલોરાઈડ બંને જોવા મળે છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભૂગર્ભજળમાં ફલોરાઈડ અને આયર્ન જોવા મળે છે. ફલોરાઈડ અને આયર્નનું આ વધુ પ્રમાણ અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે ! જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભૂગર્ભજળમાં ફલોરાઈડ અને આયર્ન — કયા કયા રોગોને જન્મ આપે છે ?!
આપણે સૌ જાણીએ છીએ કે, જામનગરમાં વસતિ અને વિસ્તારનાં પ્રમાણમાં, દવાખાનાઓ – હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પુષ્કળ પ્રમાણમાં છે ! અને, સૌ ખાધે પણ જબરા અને શોખીન. ભૂગર્ભજળમાં રહેલાં ફલોરાઈડ અને આયર્ન નામનાં તત્વો ઘણાં રોગ પેદાં કરે છે. પાણીમાં ફલોરાઈડનું વધુ પ્રમાણ, દાંતના તથા પેઢાં નાં રોગ, હાડકાં અને સ્નાયુઓ નાં તેમજ સાંધાના દુઃખાવા તથા રોગો, થાક લાગવાની ફરિયાદો અને હ્રદયરોગ – ડાયાબિટીસ તથા કેન્સર જેવા ક્રોનિકલ રોગોને જન્મ આપવામાં પણ, ફલોરાઈડ અગત્યનો ભાગ ભજવે છે !
આ ઉપરાંત આયર્ન શરીર માટે આવશ્યક છે પરંતુ ભૂગર્ભજળમાં આયર્નનું વધુ પ્રમાણ ઘણી સમસ્યાઓ નોતરે છે. વળી, પાણીમાંનાં આયર્ન સાથે વિવિધ પ્રકારના બેક્ટેરિયા પણ હોય છે. આ બેક્ટેરિયા અને આયર્નનું વધુ પ્રમાણ લિવર પર અસર કરે છે. આંતરડાના રોગો આપે છે. તથા ડાયેરિયા અને માથાનો કાયમી દુઃખાવો તથા તેને કારણે અપચા સહિતનાં રોગો પણ આર્યનને કારણે ઉદભવતા હોય છે !