Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. અધિકારી કહે છે: આ કામગીરીઓ નિયત આયોજન મુજબ આગળ વધી રહી છે. આમ તો આ કામગીરીઓ વરસાદ ન આવે ત્યાં સુધી પણ ચાલુ રાખી શકાય છે. અગાઉના વર્ષોમાં આ કામગીરીઓ અંગે સવાલો પણ ઉઠ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોઈ વિવાદ થવા પામ્યો નથી. બીજી તરફ અધિકારી કહે છે, બધું સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું છે.
જામનગર શહેરમાં દરેડ નજીક, રણજિતસાગર રોડ પર, ખોડિયાર કોલોની વિસ્તારમાં, ગોકુલનગર રોડ પર, ઈન્દીરા રોડ પર, અંબર ચાર રસ્તા નજીક તથા નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ આવેલી છે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવાના કહેવા અનુસાર, શહેરમાં આવેલી વિવિધ કેનાલની કુલ લંબાઈ આશરે 40 કિલોમીટર જેટલી છે. આ દરેક કેનાલ આ શાખા હસ્તક સફાઈ કામગીરીઓમાં સામેલ છે.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024.jpg)
શહેરમાં આ તમામ કામગીરીઓ કરવા નગરના કુલ 11 વિભાગ પાડવામાં આવ્યા છે. અને દરેક વિસ્તારોમાં સફાઈની જવાબદારીઓ જુદી જુદી કોન્ટ્રેક્ટ એજન્સીઓને સોંપવામાં આવી છે અને આ કામગીરીઓનું મોનિટરીંગ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે.
શહેરમાં પ્રથમ તબક્કાની આ સફાઈ કામગીરીઓ 25 એપ્રિલથી શરૂ થઈ છે. અમુક વિસ્તારોમાં આ કામગીરીઓ 1 મે થી હાથ ધરવામાં આવી છે. બધી જ 40 કિલોમીટર લંબાઈની કેનાલમાં પ્રથમ રાઉન્ડ તરીકે 30 મે સુધીમાં સફાઈ કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ સફાઈનો બીજો રાઉન્ડ યોજવામાં આવશે. અને, વરસાદ ન આવે ત્યાં સુધી એટલે કે જૂન મહિનામાં પણ આ સફાઈ કામગીરીઓ ચાલુ રાખવામાં આવશે.
તમામ કેનાલની સફાઈ કામગીરીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તક છે. આ ઉપરાંત સફાઈની કામગીરીઓમાં ભૂગર્ભ ગટર વિભાગ અને સિવિલ વિભાગ પણ જોડાયો છે. ભૂગર્ભ ગટરોના મેનહોલ સહિતની લાઈનોની સફાઈ ભૂગર્ભ ગટર વિભાગ હસ્તક છે. કોર્પોરેશન આ તમામ કામગીરીઓ જુદી જુદી કોન્ટ્રેક્ટ એજન્સીઓ હસ્તક કરાવ્યા બાદ એજન્સીઓને કુલ આશરે અડધા કરોડની રકમ મહેનતાણાંરૂપે ચૂકવશે. જો કે કામગીરીઓ સંતોષકારક રહે અને ભૂતકાળની માફક વિપક્ષને ટીકા કરવાનો મોકો ના મળે તેવી કામગીરી રહે તેવું પણ નગરજનો ઈચ્છે છે.