Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે શિક્ષણ આપતી સંસ્થાનું વાતાવરણ શુદ્ધ હોય તો વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ શાંત ચિતે કરી શકે પણ જામનગરની ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજમાં વાતાવરણ અશુદ્ધ હોય તેવી રજૂઆત એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસના મળતા આગેવાનો આજે કોલેજ ખાતે પહોચ્યા હતા અને તેની સાથે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગંભીર બાબતોએ પ્રિન્સીપાલ ને રજૂઆત કરવામાં આવી હતી.
કોલેજના વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કેટલાક શિક્ષકો દ્વારા કરવામાં આવે છે કલાસમાં ગંદી ગાળો બોલવામાં આવે છે ઇન્ટરનલ માર્કસ ના મૂકવાની ધમકી આપવી, માનસિક ત્રાસ આપવો, સાથો સાથ હોસ્ટેલમાં પીવા અને વાપરવાના પાણીની સમસ્યા છે, તો આ બાબતે ફરિયાદ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સમસ્યા નીવારણ કરવાની બદલે વિદ્યાર્થીઓને જે છે એ પરિસ્થિતિ સાથે એડજેસ્ટ કરવા માટે કેહવમાં આવે છે. આ બાબત કેટલી વાજબી કહી શકાય..?
વધુમાં આ તમામ વિદ્યાર્થીઓને પોતાના મેરીટના આધારે ગવર્મેન્ટ કોલેજમાં એડમીશન મળેલ છે ના કે કોઇની ભલામણથી કે લાગવગથી, અને શિક્ષકો દ્વારા આ જ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે એ એજયુકેશન સિસ્ટમ માટે ખૂબ ગંભીર બેદરકારી કહેવાય. યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ ટીમે ત્યાં સુધી દાવો કર્યો છે કે તમામ શિક્ષકોના નામ પણ ખ્યાલ છે પણ અમો નામ હાલ જાહેર કરીને શિક્ષકોનું મોરલ ડાઉન કરવા માંગતા નથી. જેથી માંગ કરવામાં આવી છે કે પ્રિન્સીપાલ દ્વારા એક કમિટી બનાવીને ઉપરોકત તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવે અને સમસ્યાનું નિવારણ કરવામાં આવે અને શિક્ષકો સામે બેદરકારી અંગેના પગલાં લેવામાં આવે.
જો આ સમસ્યાનું નિવારણ નહિ થાય તો વિદ્યાર્થીઓના હીતમાં યુવક કોંગ્રેસ જામનગર અને NSUI જામનગર કોલેજ પર અને GTU મા જઇને ધરણાં અને આંદોલનો કરી આ મામલાને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે તેવી ચીમકી પણ યુવક કોંગ્રેસ પ્રમુખ તોસીફ ખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ અને સન્ની આચાર્ય દ્વારા આપવામાં આવી છે. આ મામલે ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કહ્યું કે અમને આજે જે રજૂઆત મળી છે તે મુદ્દે અમે સંસ્થા લેવલે કમિટી રચી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થશે તેવી ખાતરી આપું છું.