Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવતીકાલે બીજી મે એ વડાપ્રધાન બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર માટે વિશાળ જનસભા સંબોધવા આવી રહ્યા છે, તેના 24 કલાક અગાઉ આજે જામનગરમાં રાજપૂત સમાજે જાહેરાત કરી છે કે, દેશના વડાપ્રધાન પ્રત્યેનો આદર જળવાઈ રહે તે માટે રાજપૂત સમાજની રાજ્ય કક્ષાની કોર કમિટીની લાગણી અનુસાર, જામનગર નજીક ખીજડીયા ખાતે બીજી મે ના બદલે ત્રીજી મે ના દિવસે રાજપૂત સમાજનું સામાજિક મહાસંમેલન યોજાશે. અને જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ કોઈ વિરોધ પ્રદર્શન કરશે નહી તેમ પણ સ્પષ્ટ કરી દેતા પોલીસને
જામનગરમાં આજે પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની સંકલન સમિતિના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજપૂત સમાજનું આ આંદોલન સામાજિક છે. નારી અસ્મિતા મહાસંમેલન ખીજડીયા ખાતે એટલા માટે યોજવામાં આવી રહ્યું છે કેમ કે, જામનગર સહિત હાલારમાં ઘૂમી રહેલાં ક્ષત્રિય ધર્મરથનું ખીજડીયા ખાતે સમાપન કરવામાં આવશે. આ મહાસંમેલનમાં લોકો સ્વયંભૂ આવવાના છે, કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃતિઓ થવાની નથી, આ મહાસંમેલન માટે આમંત્રણની કોઈ પ્રથા નથી. અમારો અંદાજ એવો છે કે, જામનગર અને દ્વારકા જિલ્લાના આશરે 15,000 રાજપૂત આ મહાસંમેલનમાં હાજરી આપશે પરંતુ મહાસંમેલન સમાજ માટેનું સ્વયંભૂ હોય, 50,000 લોકો પણ આવી શકે છે. આ માટે પોલીસ પ્રશાસન પાસેથી તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વગેરેની વ્યવસ્થાઓ તંત્રો સાથેના સહયોગથી ગોઠવવામાં આવી છે.
પૃથ્વીરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, આવતીકાલે બીજી મે ના દિવસે રાજપૂત સમાજ દ્વારા કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ નથી. ત્રીજી મે એ ખીજડીયા ખાતે બપોરે ચાર વાગ્યે મહાસંમેલનનો આરંભ થશે, જે રાત્રિના નવ વાગ્યા સુધી ચાલી શકે છે. આ મહાસંમેલનમાં કોર કમિટીના અગ્રણીઓ વાસુદેવસિંહ, કરણસિંહ તથા રમજુભા જાડેજા વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે અને રાજપૂત સમાજને સંબોધન કરશે.
રાજપૂત સમાજના આ સામાજિક આંદોલનમાં કોઈ જ નેતાઓ નથી, અમો બધાં સમાજની સંસ્થાઓ વતી લાયઝનિંગ કરી રહ્યા છીએ, સામાજિક જવાબદારીઓ નિભાવી રહ્યા છીએ. આ મહાસંમેલન નારી અસ્મિતાને કેન્દ્રમાં રાખી આયોજિત કરવામાં આવ્યું છે તેમ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આવતીકાલે બીજી મે ના દિવસે વડાપ્રધાન જામનગર આવી રહ્યા હોય, સમગ્ર શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત 48 કલાક અગાઉ જ ગોઠવી દેવામાં આવ્યો છે. અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ જામનગરમાં ધામા નાખ્યા છે.જેમાં એટીએસના વડા દીપન ભદ્રન સહિતના અધિકારીઓની ટુકડીઓ તમામ સ્થિતિઓ પર ચાંપતી નજર રાખશે.