Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં શિક્ષણ ખાસ કરીને સરકારી શિક્ષણ ચર્ચાનો હોટ મુદ્દો રહ્યો છે. શિક્ષકોની કાયમી ઘટ, શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો અભાવ વગેરે કારણોસર ગરીબ અને મધ્યમવર્ગના જે બાળકો સરકારી (અને કોર્પોરેશન સંચાલિત) શાળાઓમાં ભણવા માટે પ્રવેશ મેળવે છે તેઓની હાલત કફોડી બની રહી છે.
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પણ આ જ સ્થિતિ છે ! 44 શાળાઓમાં 90 શિક્ષકોની ઘટ છે ! શિક્ષકોની આ ઘટ નિવારવા કોર્પોરેશન અથવા સમિતિ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી . બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન વાલીઓને અનુરોધ કરી રહ્યા છે કે, તમારાં બાળકોને ભણવા માટે સરકારી શાળાઓમાં મોકલો ! અને, આગામી 12 થી 14 જૂન દરમિયાન શિક્ષણ સમિતિ શાળા પ્રવેશોત્સવ ઉજવવા પણ થનગની રહી છે ! આ સમિતિએ શિક્ષકોની ઘટ નિવારવા કશું જ કર્યું નથી !?
અત્રે નોંધનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેલ્લાં ઘણાં સમયથી કોઈને કોઈ વિવાદમાં ગાજતી રહી છે ત્યારે શિક્ષકોની ઘટની સ્થિતિમાં પણ સમિતિ બાળકોને શાળામાં પ્રવેશ માટે અપીલ કરે, એ ફારસથી વિશેષ કશું દેખાતું નથી. અપીલ સામે કોઈને કશો વાંધો ન હોય શકે, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા સમિતિ પાસે પૂરતાં શિક્ષકો જ નથી ! તેનું શું ?!
જામનગરમાં શિક્ષણ સમિતિ સંચાલિત 44 શાળાઓ છે. જેમાં ધોરણ 1 થી 5 નાં વિભાગમાં 83 શિક્ષકોની ઘટ છે. અને ધોરણ 6 થી 8 નાં વિભાગમાં 12 શિક્ષકોની ઘટ છે. શાળા નં. 1 માં પણ મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે ! શિક્ષકોની ભરતી મુદ્દે નક્કર કાર્યવાહી ન કરવી અને માત્ર શાળા પ્રવેશની અપીલ કરવી – એ મુદ્દો કેટલો વાજબી લેખી શકાય ?
-શાસનાધિકારી ફાલ્ગુની પટેલ કહે છે..
આ સમગ્ર વિષય સંદર્ભે Mysamachar.in સાથેની વાતચીતમાં સમિતિનાં શાસનાધિકારી ફાલ્ગુની પટેલે જણાવ્યું છે કે, બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે અપીલ અમારી ફરજનો ભાગ છે. શિક્ષકોની ઘટ પણ ગંભીર બાબત છે જ, જો કે સમગ્ર રાજ્યમાં આ પરિસ્થિતિ છે. અને શિક્ષકોની ઘટ અંગે મેં કમિશ્નરને મૌખિક વાત કરી છે, આગામી સમયમાં આ અંગે લેખિતમાં પણ કમિશ્નરને જાણ કરવામાં આવશે અને તેઓનું માર્ગદર્શન મેળવવામાં આવશે.