Mysamachar.in-ગુજરાત:
સામાન્ય રીતે નોટબંધીનો આશય શુભ હોય છે, ચલણમાંથી કાળું નાણું ક્રમશઃ દૂર થાય. ફૂગાવો ઘટે અને મોટાભાગના આર્થિક વ્યવહારો ઓન ધ રેકર્ડ આવી શકે – વગેરે કારણોસર કોઈ પણ દેશ નોટબંધી લાદતો હોય છે. ભારતમાં છ વર્ષ પહેલાં નોટબંધી લાદવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં હજારો પ્રકારની ચર્ચાઓ થઈ. હવે, ફરી બે હજારની ચલણી નોટ ચર્ચામાં આવી છે, કેમ કે – શાસકપક્ષના સાંસદ સુશીલ મોદીએ આ મામલો સંસદમાં (રાજ્યસભામાં) ઉઠાવ્યો છે ! નોટબંધીના છ વર્ષ પછી, આ મુદ્દો, આ પ્રકારે સંસદમાં શા માટે પેશ થયો ? તે પણ સંશોધન અથવા તપાસનો વિષય લેખાવી શકાય ?! એવી ચર્ચા પણ સાથે-સાથે શરૂ થવા પામી છે !
બિહારનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાનાં રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ સંસદમાં માંગણી કરી છે કે, સરકારે બે હજારથી ચલણી નોટ ચલણમાંથી ક્રમશઃ હટાવી લેવી જોઈએ. તેઓનો તર્ક એવો છે કે, મોટેભાગે આ નોટનો ઉપયોગ કાળું નાણું સંગ્રહ કરવા માટે થાય છે. આ નોટ ઝીરો બિઝનેસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ નોટ રાષ્ટ્ર માટે ખતરો બની શકે છે !
અત્રે નોંધનીય છે કે -ત્રણ વર્ષથી આ નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. બેંકો અને ATM માં આ નોટ દેખાતી નથી ! આ નોટ્સ બ્લોક થઇ ચૂકી છે, લાગતાં વળગતા લોકો પાસે. આ નોટ બે નંબરી વેપારમાં ધૂમ ચાલે છે ! આ નોટ વડે money laundering થતું હોય એવી શક્યતાઓ પણ સરકારનાં ધ્યાનમાં હોય જ સમજી શકાય તેવી બાબત છે.
આ બધાં ભયસ્થાનો સરકારે આ નોટ શરૂ કરી વખતે વિચાર્યા ન હતાં ?! વિચાર્યા જ હોય, સરકાર લાંબી અક્કલ ધરાવે છે. તો પછી, આ નોટ શરૂ શા માટે કરવામાં આવી ?! એ પ્રશ્ન પણ ગંભીર છે. એક સમયે તો ટીવી ચેનલો એમ પણ કહેતી: આ નોટમાં ચીપ છે, સરકાર શોધી લેશે, સંતાડશો તો !!
અત્યારની સ્થિતિ જોઈએ તો, આ નોટ ચલણમાંથી પરત ખેંચવી જો ફરજિયાત હોય તો, સરકારે આ નોટ બદલાવવા બેંકો ગ્રાહકોને અને ધારકોને ઘરે બેઠાં સુવિધા કરી આપે એવું વિચારવું આવશ્યક છે કેમ કે, અગાઉ નોટબંધી વખતે કરોડો લોકો શારીરિક, આર્થિક અને માનસિક રીતે ખૂબ પરેશાન થયા હતા, લોકોનો કોઈ જ વાંકગુનો ન હતો છતાં ! આ નોટ ચલણમાંથી સરકારે ધીમેધીમે નાબુદ કરવી જોઈએ, નોટધારકોને પરેશાની સહન ન કરવી પડે એમ. અને, જે નાનાં માણસોએ ઈમરજન્સી માટે આ નોટ 25-50-100 ની સંખ્યામાં બચત તરીકે સંગ્રહ કર્યો હોય એ લોકોને કોઈ પણ પ્રકારનો માનસિક પરિતાપ કે શારીરિક તકલીફો કે આર્થિક નુકસાની સહન ન કરવી પડે – તે બધાં જ મુદ્દાઓ વિચારી, પછી સરકારે આ દિશામાં આગળ વધવું જોઈએ, જો ફરજિયાત હોય તો શાસકપક્ષના સાંસદનો આ નોટબંધીનો મુદ્દો આગામી દિવસોમાં ચર્ચામાં સેન્ટર સ્ટેજમાં આવી શકે છે !