Mysamachar.in:જામનગર
જામનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ અને તબીબી છાત્રો અથવા છાત્રાઓનાં આપઘાતની ઘટનાઓ અવારનવાર સમાચાર બનતી રહે છે. વધુ એક વખત આમ બનવા પામ્યું છે. એક તબીબી છાત્ર દ્વારા રેગિંગની ફરિયાદ થયેલી પરંતુ તપાસને અંતે જાહેર થયું છે કે, આવું કશું નથી.
એમ.પી.શાહ મેડિકલ કોલેજનાં પ્રથમ વર્ષ સર્જરીમાં અભ્યાસ કરતાં એક તબીબી છાત્ર દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માં અને દિલ્હી ખાતે રેગિંગની ફરિયાદ મોકલવામાં આવી હતી. આ ફરિયાદ ફરિયાદીનાં સિનિયર એવાં ત્રીજા વર્ષનાં એક છાત્ર વિરુદ્ધ હતી. સિનિયર શારીરિક-માનસિક અને આર્થિક બળજબરી કરે છે ! માર પણ મારી લ્યે છે ! એવું ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું હતું. આ ફરિયાદ જાહેર થતાં જામનગર ઉપરાંત રાજકોટમાં પણ ખળભળાટ મચી ગયો હતો. બાદમાં મેડિકલ કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ તપાસ અને બંને છાત્રનું કાઉન્સેલિંગ કર્યું. તપાસ કરી, ચર્ચાઓ કરી અને નિર્ણય લીધો કે, આ કેસમાં રેગિંગનો કોઇ મામલો બનતો નથી. આ જાહેરાત મેડિકલ કોલેજનાં ડીન ડો. નંદિની દેસાઈ દ્વારા કરવામાં આવી છે.
મેડિકલ કોલેજનાં ડીન ડો. નંદિની દેસાઈ જણાવે છે કે, કોઈ પણ તબીબી છાત્ર અથવા છાત્રા અહીં કોલેજ લેવલે આ પ્રકારની કોઈ પણ ફરિયાદ નોંધાવી શકે અથવા મેન્ટોર પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલી છે જ. આમ છતાં આ કેસમાં સ્થાનિક સ્તરે આવી કોઈ જ ફરિયાદ થવા પામી નથી. જો કે કોલેજ સત્તાવાળાઓને આ અંગે જાણકારી મળતાં જ, બંને છાત્રોને પાંચ જ મિનિટમાં અલગ પાડી દેવામાં આવ્યા હતાં જેથી આગળ કોઈ પણ અનિચ્છનીય બાબત ન બને. તકેદારીનાં ભાગરૂપે આમ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડીન જણાવે છે કે, આ મામલાની તપાસ જનરલ એડ્મિનિસ્ટ્રેશન તથા પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારી સહિતનાં લોકોની બનેલી એન્ટિ રેગિંગ કમિટીએ કરી છે. બંને છાત્રોનું કલાકો સુધી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. આ મામલો UGCની ગાઈડલાઈન મુજબ, રેગિંગની વ્યાખ્યામાં આવતો નથી. આ કેસમાં જાણમાં આવ્યું છે કે, દર્દીલક્ષી સેવાઓનાં સંદર્ભમાં સામાન્ય રીતે સિનિયર દ્વારા જે રીતે જૂનિયરને સૂચનાઓ આપવામાં આવતી હોય છે, એ પ્રકારનાં આ મામલામાં ફરિયાદીએ કોઇ જ ફોર્માલિટી કર્યા વિના સીધી જ ઉચ્ચકક્ષાએ રેગિંગની ફરિયાદ દાખલ કરી દીધી હતી. આ કેસમાં તમામ બાબતોનું જરૂરી નિરાકરણ લાવવામાં આવ્યું છે. અને આ મુદ્દો અત્રે પૂર્ણ થાય છે, એમ જામનગરનાં મેડિકલ સત્તાવાળાઓએ જાહેર કર્યું છે.