Mysamachar.in:જામનગર
જામનગર BJPનો મામલો માત્ર શહેર, જિલ્લા કે હાલાર પૂરતો જ નથી, સમગ્ર રાજયમાં આ વિવાદ ગરમાગરમ ચર્ચાઓ અને અનુમાનોનો વિષય બની ગયો છે. છેક દિલ્હી સુધી આ વિવાદની ગૂંજ પહોંચી હોય, એ સમજી શકાય તેવી વાત છે. કેમ કે, ખુદ વડાપ્રધાન પણ સાંસદ અને ધારાસભ્ય સાથે ગાઢ સંપર્ક ધરાવતાં હોવાનું સૌ જાણે જ છે. આમ છતાં આ મુદામાં હજુ સુધી પ્રદેશ કક્ષાએથી કોઈ જ હિલચાલનાં અણસાર જોવા મળતાં નથી તેથી લોકોને ભારે અચરજ થઈ રહ્યું છે. હજુ સુધી પ્રદેશ અધ્યક્ષ દ્વારા પોતાનાં કોઇ દૂતને જામનગર મુલાકાત માટે શાથી મોકલવામાં આવ્યા નથી ?! કે, CR નાં કોઇ વિશ્વાસુ શહેરની ગુપ્ત મુલાકાત લઇ ચૂકયા છે ?! એ મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રદેશ ભાજપા અધ્યક્ષ હાલમાં અતિ વ્યસ્ત છે. કેમ કે, લોકસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતનાં 26 ઉમેદવારોને વિક્રમજનક સરસાઈથી જિતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી બાજુ સમગ્ર રાજયમાં એટલે કે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં પક્ષમાં છેલ્લાં કેટલાંક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી ! જેમાં છેલ્લે-છેલ્લે જામનગરનો પણ સમાવેશ થઈ ગયો હોય, પાટિલ ખૂબ જ ચિંતામાં પણ હોય એ પણ સમજી શકાય તેવી બાબત છે. વળી, પાટિલ મોદી-શાહનાં અતિ અંગત હોય મહારાષ્ટ્રનાં મરાઠી રાજકારણમાં પણ તેઓને દિલ્હીએ કોઈ ખાનગી ભૂમિકા સોંપી હોય એ પણ શક્ય છે.
આ બધી સ્થિતિ વચ્ચે સ્વાભાવિક રીતે જ જામનગર મુદ્દો તેઓની પ્રાયોરિટીમાં ન હોય એવું પણ બની શકે. પરંતુ તેની સામે હકીકત એ પણ છે કે, જામનગર વિવાદને કારણે સમગ્ર રાજયમાં અને પ્રદેશ કક્ષાએ પક્ષમાં પણ આ વિવાદની ગંભીર અસર અને નોંધ તો પડી જ હોય શકે. આથી પાટિલ જામનગર વિવાદનો તોડ પોતાની કોઈ આગવી રણનીતિ મુજબ કાઢે એવું પણ બની શકે. અને આ વિવાદનો હલ શોધતી વખતે તેઓએ દિલ્હીને પણ પ્રત્યેક પાસામાં વિશ્વાસમાં લેવું પડે. આથી આ આખો મામલો સમગ્ર હાલાર સહિત રાજયભરમાં ભારે ઉતેજના અને તીવ્ર ઇંતજાર પેદાં કરનારો બની ચૂકયો છે અને તેથી પાટિલ તથા પાર્ટી જામનગર વિવાદ ઉકેલવા થોડો સમય તો લેશે જ એમ માનવામાં આવી રહ્યું છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગરમાં ગુરુવારની આ ઘટના પછી વ્યાપક રાજકીય સન્નાટો મહેસૂસ થઈ રહ્યો છે. તળાવની પાળે ગુરુવારે સવારે ત્રણ મહિલા અગ્રણીઓ વચ્ચે જે કાંઈ બન્યું ત્યારે શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા આ ઘટનાની એકદમ નજીક હતાં. જે પૈકી ધારાસભ્ય દિવ્યેશ અકબરી હાલ અન્ય રાજયની ચૂંટણી સંદર્ભે પક્ષે સોંપેલી જવાબદારીઓમાં રોકાયેલા છે. અને પ્રદેશ અધ્યક્ષે આ વિવાદ મામલે જામનગર પક્ષ પ્રમુખ સાથે વિગતવાર ટેલિફોનિક વાતચીત કરી લીધી છે. જો કે આ પક્ષનો આંતરિક મામલો હોય, હાલ આ બાબતે પક્ષીય શિસ્તનાં કારણે કશું જાહેર થતું નથી. પરંતુ લોકોમાં આ મુદે જાણવાની ભારે અને સ્વાભાવિક ઉતેજના જોવા મળી રહી છે.
બીજી બાજુ કાલે શુક્રવારે સાંજે એવી પણ અફવા ઉડી હતી કે, મેયર અપમાન બદલ રાજીનામું આપવા પક્ષનાં શહેર કાર્યાલય જઈ રહ્યા છે ! આ અફવા ઉડતાં જ શહેરનું સમગ્ર મીડિયા પક્ષ કાર્યાલય ધસી ગયું હતું. બાદમાં સતાવાર સૂત્રોએ ફોડ પાડ્યો કે મેયર પરિવારનાં સભ્યો પાર્ટી કાર્યાલય પહોંચી રહ્યા છે. મોડેથી જાહેર થયું કે, કોઠારી પરિવારનાં વડીલો, પુરુષો અને મહિલાઓએ પક્ષ પ્રમુખની મુલાકાત લીધી. જો કે આ મુલાકાતમાં પરિવારનાં સભ્યો દ્વારા કોઈ જ નોંધપાત્ર બાબતનો ઉલ્લેખ થયો નહીં. તેઓએ માત્ર એ જ લાગણી વ્યક્ત કરી કે, ઔકાત શબ્દનાં જાહેરમાં ઉપયોગથી અમારાં પરિવારને જબરો આઘાત લાગ્યો છે. પક્ષે અમારી લાગણીઓ ધ્યાને લેવી જોઇએ. કેમ કે અમારો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.
અત્યારે સમગ્ર હાલારમાં ચર્ચાઓ એ જ છે કે હવે પછીનો રાજકીય એપિસોડ શું હશે ? રાજકીય સિનારીયો શું હોય શકે ?! કેમ કે, બે દિવસથી શહેરમાં રાજકીય સન્નાટો છવાઈ ગયો છે. અને બીજી બાજુ પક્ષે આગામી ચૂંટણીની પણ તૈયારીઓ કરવાની છે અને લોકસંપર્ક પણ કરવાનો છે, કાર્યક્રમો યોજવાના છે અને શહેરનાં વિકાસકામોને પણ વેગ આપવાનો છે. બધું અગાઉ માફક સ્મૂથ ચાલતું કયારે થશે ?! એ પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.