Mysamachar.in:જામનગર
જો કોઈ તમને બીમારીઓ દુર કરવાની લાલચ આપે કે પછી તમને કરોડો રૂપિયા મળશે તેવી લાલચ આપે તો ચેતજો નહિતર આવા લેભાગુ શખ્સો તમારી પાસે રહેલ માલમતા લુંટીને ચાલ્યા જશે અને બાદમાં પસ્તાવા સિવાય કોઈ પાર નહિ રહે આવી જ એક ઘટના જામનગર જીલ્લાના જામજોધપુર થી સામે આવી છે, જ્યાં પરિવારના સભ્યોની બીમારી દુર કરવાના બહાને એક કરોડથી વધુની રકમ લુંટી જનાર મદારીના ખેલ કરતા 4 ઇસમોને જામનગર એલસીબીએ ગણતરીની કલાકોમાં જ વાંકાનેર નજીકથી ઝડપી લઇ આ ગુન્હા ઉપરાંત વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજ્બ જામજોધપુરના ગીંગણી ગામે વસવાટ કરતા રમેશભાઇ હંસરાજ કાલરીયાનો ભેટો થોડા સમય પૂર્વે ત્રણ સાધુ જેવા લાગતા શખ્સો સાથે થયો હતો અને આ શખ્સોએ ફરીયાદી રમેશભાઈના પત્ની તથા દીકરા કલ્પેશની બિમારીઓ દુર કરી આપવાનુ બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી એક સુવ્યવસ્થિત કાવતરાના ભાગરૂપે તબક્કાવાર ફરીયાદી પાસેથી રોકડા રૂ.87,14,000/- તથા સોનાના દાગીના આશરે 83 તોલા અને 1.5 ગ્રામ આજની કિંમત એક તોલાના રૂ.50,000/- લેખે રૂ.41,57,500/- કુલ કિ.રૂ.1,28,71,500/- છેતરપીંડી કરી તથા લુટી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મામલો પોલીસ સુધી પહોચતા પહેલા પોલીસે અરજી લીધી અને બાદમાં આ અંગે ગુન્હો દાખલ કરી અને આ અંગે જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચે તપાસમાં ઝંપલાવી અને તાબડતોબ વાંકાનેર નજીકથી મદારીના ખેલ કરતા 4 ઈસમોને ઝડપી પાડ્યા છે. અને તેની આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે. ઝડપાયેલા આ શખ્સોએ જામજોધપુરના વૃદ્ધ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં અન્ય કેટલાક લોકોને પણ આ રીતે શીશામાં ઉતારી અને માલ ખંખેર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યાનું સુત્રો જણાવે છે.જો કે આગામી કલાકોમાં એલસીબી ટીમ આ અંગે વધુ ખુલાસાઓ સતાવાર રીતે કરશે તેમ જાણવા મળે છે.