Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લા પૂરવઠા તંત્રની પ્રતિષ્ઠા કયારેય ચકચકિત રહેવા પામી નથી. સંખ્યાબંધ ફરિયાદો અને રજૂઆતો છતાં, આ તંત્ર થોડાં થોડાં સમયે ‘સબ સલામત’ વાતો કરતું રહે છે – એવું સામાન્ય ગ્રાહકો તો ઠીક, ખુદ ગ્રાહક સુરક્ષા મંડળ પણ કહે છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ જણાવે છે : અમારી સંસ્થા દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારી નિલાક્ષ મકવાણા સમક્ષ જે કોઈ ફરિયાદો કરવામાં આવે છે તે ફરિયાદો અને રજૂઆતો સંબંધે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ! મંડળ જણાવે છે : જિલ્લા પૂરવઠા તંત્ર, વિભાગનાં હેડ કલાર્ક સહિતના અધિકારીઓ અને પૂરવઠા નિરીક્ષકો સહીતનો સ્ટાફ સસ્તા અનાજની દુકાનોનાં ધારકોની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય, તેવું ચિત્ર હોવાનોં આક્ષેપ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ કિશોર મજીઠીયા જણાવે છે : સંસ્થાની રજૂઆતને જવાબ આપવામાં આવતો નથી. સંસ્થાને રજૂઆતો સંબંધે તંત્ર લેખિત જવાબ પણ નથી આપતું. સંસ્થાના હોદ્દેદારો દ્વારા તંત્રનો આ સંદર્ભે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા મોબાઈલ કોલ રિસિવ કરવામાં આવતો નથી. વોટ્સએપ પર બ્લોક કરી દેવામાં આવે છે.
કલેકટર સમક્ષની રજૂઆતમાં ગ્રાહક સુરક્ષા મંડળ જણાવે છે કે, જિલ્લા પૂરવઠા અધિકારી તથા હેડ કલાર્ક વિરૂદ્ધ કાર્યવાહી થવી આવશ્યક છે. આ અધિકારીઓ ગ્રાહક સુરક્ષા સંસ્થાને પણ જવાબ ન આપતાં હોય તો અરજદારો, રાશનકાર્ડધારકો સાથે તંત્ર કેવું વર્તન કરતું હશે ?! તે સમજી શકાય તેવી બાબત છે.
ગ્રાહક સુરક્ષા મંડળે આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ સ્થિતિમાં રાશનકાર્ડધારકોને ન્યાય કેવી રીતે મળે ?! સસ્તા અનાજની દુકાનોનાં ધારકોની મનસ્વી નીતિરીતિ અંગે લોકો ફરિયાદ કરવા ક્યાં જાય ?! એવો પ્રશ્ન પૂછી, મંડળે જણાવ્યું છે કે, રાશનકાર્ડધારકો પોતાની ફરિયાદો અને રજૂઆતો તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ એક વોટ્સએપ નંબર જાહેર કરવો આવશ્યક લેખાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે….સૌ જાણે અને સમજે છે એમ, સસ્તા અનાજની દુકાનોનાં ધારકો દ્વારા રાશનકાર્ડધારકોને જુદી જુદી રીતે પરેશાન કરવામાં આવતાં હોય છે ! સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટલાંક દુકાનદારો તો રાશનકાર્ડધારકોને સીધું જ પૂછી લ્યે છે – માલ જોઈએ છે કે રોકડા આપી દઉં ?! આ પ્રકારના દુકાનદારો પોતાનો બિનહિસાબી જથ્થો કોઈને વેચી નાંખતા હશે ! એ સમજી શકાય તેવી બાબત છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે પણ જિલ્લામાં પૂરવઠા તંત્ર જેવું કોઈ તંત્ર હોય જ નહીં તેવી સ્થિતિ શા માટે જોવા મળી રહી છે ? એવાં પ્રશ્નો લોકોમાં પૂછાઈ રહ્યા છે !