Mysamachar.in:જામનગર
પ્રદૂષણ કાયમ ચર્ચાનો અને સંવેદનશીલ વિષય રહ્યો છે. આ હોટ મામલામાં સત્તાધીશો કેટલું ઠંડુ વલણ અખત્યાર કરતાં હોય છે, એ મુદ્દો પણ હંમેશા હોટ કેઈક બનતો હોય છે. જો કે હવે નવાજૂનીની સંભાવનાઓ સપાટી પર ડોકિયાં કરી રહી છે કેમ કે, જ્યાં સુધી હાલારને લાગેવળગે છે – પ્રથમ વખત બધી જ મહાકાય અને પ્રતિષ્ઠિત કંપનીઓનું પ્રદૂષણ વિધાનસભા ગૃહમાં પથરાયો છે. સરકારે હાલ જો કે કંપનીઓની ઢાલની ભૂમિકા ભજવી છે પરંતુ અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, આગામી સમયમાં પણ આ વિધાનસભા કાર્યવાહીઓના પડઘાઓ ગૂંજતા રહેશે.
યોગાનુયોગ એ છે કે, રાજ્યનાં વન અને પર્યાવરણ મંત્રી પણ હાલારના છે. અને વિધાનસભામાં આ હોટ વિષય પણ હાલારના જ એક ધારાસભ્યએ ઉઠાવ્યો. અને, હાલારનો પ્રદૂષણનો કાદવ ચર્ચામાં આવતાં ઘણી કોઠીઓ ક્ષોભ અનુભવી રહી છે ! કારણ કે, અત્યાર સુધીમાં પ્રદૂષણ મુદ્દે હાલારમાં ડાહી અને મીઠડી વાતો પુષ્કળ પ્રમાણમાં થતી રહી છે. હાલારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા દરેક બાબતને ગંભીરતાથી લેવાની ખાસિયત અને કાર્યપદ્ધતિ ધરાવે છે. તાજેતરમાં તેઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની પણ મુલાકાત લીધી હતી.
વિધાનસભા ગૃહમાં હાલારનો કંપનીઓનો પ્રદૂષણનો મામલો ગરમાયો હોય, આગામી દિવસોમાં મંત્રી કક્ષાએથી તથા પ્રાદેશિક કચેરી કક્ષાએથી પણ કાંઈક તો કામગીરી અથવા કાર્યવાહી થશે જ, એવું સમજાઈ રહ્યું છે. કેમ કે, આ મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની જતાં, હવે સ્થાનિક સ્તરે કશુંક બનવું અપેક્ષિત બની ગયું છે. જામનગર જિલ્લાનાં 10 ઔદ્યોગિક એકમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ઔદ્યોગિક એકમો વિરુદ્ધ પ્રદૂષણ મુદ્દે કુલ 50 ફરિયાદો રેકર્ડ પર આવી છે. જેમાં બંને જિલ્લાની તમામ મહાકાય કંપનીઓ અને તમામ પ્રતિષ્ઠિત કંપનીઓનાં નામો છે.
આ કંપનીઓ વિરુદ્ધ કોઈ જ કડક કાર્યવાહી થવા પામી નથી, એવું વિધાનસભામાં અપાયેલાં જવાબ પરથી સમજાઈ રહ્યું છે ! માત્ર એક જ કંપનીને કલોઝર નોટિસ આપવામાં આવી છે. જે કંપની જાણીતી નથી ! બાકીની ફરિયાદોમાં કાં તો શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. કાં તો નોટિસ ઓફ ડાયરેકશન આપવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહીઓ એક અર્થમાં કાગઝી હોય છે, આ કાગળો સરકારી કચેરીઓમાં અમુક સમય પછી પસ્તી બની જતાં હોય છે, છેલ્લે આ કાગળો ઉંદરડા ખાઈ જતાં હોય છે !જો કે જાણકારોના મતે – હાલારના પ્રદૂષણનો કાદવ પ્રથમ વખત વિધાનસભા ગૃહમાં કોઠીઓમાંથી આટલાં મોટાં પ્રમાણમાં ઉલેચાયો હોય, આ પોદરો ધૂળ તો ઉપાડશે જ- એવું હાલ દેખાઈ રહ્યું છે.
છેલ્લાં ઘણાં સમયથી જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી વિધાનસભાની આ કાર્યવાહી માટે ઘનિષ્ઠ રીતે હોમવર્ક કરી રહી હતી એવું એક કરતાં વધુ વખત કચેરીએ માય સમાચાર ડોટ ઈન ને જેતે સમયે જણાવ્યું હતું. અને, થોડાં સમય પહેલાં ખુદ વન અને પર્યાવરણ મંત્રી પણ આ કચેરીની મુલાકાત લઈ ચૂક્યા છે, એ પણ અત્રે ઉલ્લેખનીય લેખાશે. હાલારની માફક કચ્છમાં પણ કંપનીઓ ખાસ કરીને અદાણી કંપની પ્રદૂષણ મુદ્દે ચર્ચામાં છે. કચ્છની ફરિયાદો પણ વિધાનસભા ગૃહમાં ગાજી ઉઠી છે. જો કે સરકાર વિધાનસભા ગૃહમાં ‘બધું બરાબર ચાલી રહ્યું છે’ – એવું ચિત્ર ઉપસાવવા મેગા પ્રયાસો કરી રહી છે ! એ મુદ્દો પણ નોંધનીય લેખાવી શકાય.