Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર ગતરોજ બપોરના સુમારે એક કારના અકસ્માતની ઘટના સામે આવી હતી આ ઘટનામાં ગતરોજ બે લોકોના મોત બાદ સારવાર દરમિયાન વધુ એક મોત થતા આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, આ અંગે ધ્રોલ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ અમદાવાદ ઇસનપુર પટેલવાસ સામે વસવાટ કરતા અને અકસ્માતનો ભોગ બનનાર અલ્ટો ગાડી રજી. નં.GJ-27 EA-9938 ના ચાલક મરણ જનાર બીજલભાઇ પ્રવિણભાઇ જેઠવા તેમના પરિવારના સભ્યો તેમની પત્ની માધવીબેન, 5 વર્ષના પુત્ર ફેનિલ અને અઢી વર્ષની પુત્રી નવ્યા સાથે જામનગર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન જામનગર રાજકોટ હાઈવે પર આહીર કન્યા છાત્રાલય નજીક ગતરોજ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
અલ્ટો ગાડી રજી. નં.GJ-27 EA-9938 ના ચાલક મરણ જનાર બીજલભાઇ પ્રવિણભાઇ જેઠવાએ પોતાની ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જાતા કાર ડીવાઈડર સાથે અથડાઈ અને રોડ નીચે ઉતરી જતા ફોરવ્હીલમાં બેસેલ તેમના પત્ની માધવીબેન ઉવ-32 તથા પુત્ર ફેનીલ ઉવ-5 તથા પોતાને ગંભીર ઇજા થતા મોત નીપજાવી તથા પોતાની પુત્રીને સામાન્ય ઇજા કર્યા સબબની માહિતી ધ્રોલ પોલીસ પાસેથી જાહેર થયા બાદ આ અકસ્માતની વધુ તપાસ ધ્રોલ પી.એસ.આઈ.પી.જી.પનારા ચલાવે છે.એક જ પરિવારના ત્રણ સભ્યોના તહેવારના સમયે જ મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ ઉભી થઇ છે.