Mysamachar.in:જામનગર
તાજેતરમાં કેન્દ્રીય રેલવે અને કાપડમંત્રી દર્શનાબેન જરદોશ જામનગરની મુલાકાતે આવ્યા હતા, તેમની આ મુલાકાત દરમિયાન તેવોએ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જન ઔષધી દિવસે નગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની મુલાકાત લઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. બ્રિલિયન્ટ સ્કૂલની કેન્દ્રીયમંત્રીની મુલાકાત સમયે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ચેરપર્સન ડિમ્પલબેન રાવલ, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, ભાજપ શહેર મહિલા મોરચાના અધ્યક્ષ રીટાબેન જોટગિયા અને સ્કૂલના અશોકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિલિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરતા મંત્રી દર્શનાબેનએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવતીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, પછી તે નજીવાદરે સેનેટરી પેડનું જન ઔષધી કેન્દ્ર દ્વારા વેચાણ હોય કે કન્યા કેળવણી, પરીક્ષા પે ચર્ચા હંમેશા સરકાર શિક્ષણની અને આરોગ્યની પરવા કરે છે. આ તકે બ્રિલિયન્ટ સ્કૂલના સર્વેસર્વા અશોકભાઈ ભટ્ટ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.