Mysamachar.in:જામનગર
જામનગર દક્ષિણ 79 – વિધાનસભા મત વિસ્તારનાં લોક્લાડિલા અને સતત વિસ્તાર માટે દોડતા ધારાસભ્ય દિવ્યેશ અકબરીનાં મીગ કોલોનીમાં નિર્મિત નવા ‘જનસંપર્ક કાર્યાલય’નું ઉદઘાટન ગતરોજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ ઉદઘાટન સમારોહ સમયે 76 – કાલાવડ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ.વિમલ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરા સહિતનાં અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી. શ્રીફળ વધેરીને મહાનુભોનાં કાર્યાલયમાં વિધીવત પ્રવેશ સાથે જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ થયું હતું.
ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ગૃહમંત્રી હર્ષસંઘવી – કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી – પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ સહિતનાં અગ્રણીઓનું મોં મીઠું કરાવી ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ કાર્યની મીઠાશપૂર્ણ ઉજવણી કરવામા આવી હતી. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો શુભેચ્છા સંદેશો મળ્યો હતો.
આ ઉદ્ઘાટન સમારોહ સમયે જામનગર શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખઓ, મેયરઓ, ભાજપના કોર્પોરેટરો ઉપરાંત જુદા જુદા વોર્ડના પ્રમુખ – મહામંત્રી, જુદી જુદી જ્ઞાતિ અને સંસ્થાના અગ્રણીઓ અને વિશાળ મિત્ર વર્તુળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાયા પછી અને હાકલ કરો, અને હર હંમેશા હાજર થઈ જતા એવા દિવ્યેશભાઇ અકબરી દ્વારા સતત અને સઘન લોક સંપર્ક વડે લોકોનાં પ્રશ્નોનાં નિરાકરણ અને ભાજપ સરકારની વિકાસની યાત્રા ને વધુ વેગવંતી બનાવવાનાં સંકલ્પ સાથે જનસંપર્ક કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે.
આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ વગેરે મહાનુભાવોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીને હર હંમેશ લોકોની વચ્ચે રહી તેમનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે સેવારત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્રને સાર્થક કરવા પ્રેરીત કર્યા હતાં. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં દ્વાર જામનગરની જનતા માટે હંમેશ ખુલ્લા છે. કોઇપણ સમસ્યા માટે નાગરિકોને તેમનો નિઃસંકોચ પણે સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.