Mysamachar.in-જામનગરઃ
જામનગર કોર્પોરેશનના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ઓડિટર શ્રીમંત કુમાર પાલ વિરુદ્ધ કોન્ટ્રાક્ટરોએ કથિત રીતે ભ્રષ્ટાચાર આચર્યાના નનામી પત્રએ ખળભળાટ મચાવ્યો છે. કોન્ટ્રાક્ટરોએ કથિત રીતે આક્ષેપ લગાવ્યો છે કે શ્રીમંત કુમાર બિલ પાસ કરાવવા માટે એડવાન્સ પેમેન્ટ માગે છે. એટલું જ નહીં જો તેને પેમેન્ટ આપવાની મનાઇ કરીએ તો તેઓ કોર્પોરેશનના ધક્કા ખવડાવી બિલની ફાઇલો અટકાવી દે છે.
કોન્ટ્રાક્ટરોએ લખેલા નનામી પત્રમાં સિનિયર ઓડિટર શ્રીમંત કુમાર પાલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં તેઓએ લખ્યું છે કે મનપામાં બિલ બનાવવું તો સહેલું છે પરંતુ બિલ પાસ કરાવવું ખૂબ જ અઘરું છે. કારણ કે બિલ પાસ કરાવવા માટે ઓડિટ વિભાગ દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. વહિવટ માટે તેઓ મનપાની શૌચાલય તથા તળાવની પાળે બોલાવે છે, ઘણીવાર તો તેઓ જાતે જ જે તે ડિપાર્ટમેન્ટમાં જઇને વહિવટ સ્વીકારી લે છે.
થોડા સમય પહેલા જ શ્રીમંત કુમારને એક કોન્ટ્રાક્ટર સાથે ઝઘડો થયો હતો, આ દરમિયાન શ્રીમંત કુમારે એવું કહ્યું હતું કે ''આવતા મહિનાથી હું જ ચીફ ઓડિટર છું, આખું મ.ન.પા મારી નીચે હશે''. કોન્ટ્રાક્ટરોએ કથિત આરોપ લગાવ્યો છે કે સિનિયર ઓડિટર શ્રીમંત કુમારે ટૂંક સમયમાં જ જંગી મિલકત વસાવી લીધી છે. હાલમાં જ તેઓએ 75 લાખનો બંગલો બનાવ્યો છે, એટલું જ નહીં અનેક જગ્યાએ તેમની દુકાનો તથા જમીનોના માલિક છે. એક-બે વર્ષમાં શ્રીમંત કુમારની મુદત પૂર્ણ થવાની જેથી તેઓ ફૂલ લડી લેવાના મૂડમાં છે.
શું કહેવું છે કે શ્રીમંત કુમાર પાલનું ?
નનામી પત્ર વિશે Mysamachar.inની ટીમે શ્રીમંત કુમારનો સંપર્ક સાધ્યો હતો, ટેલિફોનિક વાતચીતમાં શ્રીમંત કુમાર આ વાતમાં કોઈ દમ નથી. ત્રીસ વર્ષથી નોકરી કરી છે, તો મકાન તો બનાવીએ ને. સાતમું પગાર પંચ લાગુ થયું છે, અને હવે તો હું પગભર થયો છું તો મકાન તો કરું. અને દુકાનોમાં ભાગીદારીની વાત છે તે મનપાની માલિકીની દુકાન ભાડે છે અને તે મારા ભાઈના નામની છે, બાકી આક્ષેપોમાં તથ્ય નથી અને હું મુતરડીમાં પૈસા લેવા ક્યારેય ગયો નથી.