Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને જાનથી મારી નાંખવાની ધમકી અને ખંડણીની માંગ સહિતના મામલે એક પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયા બાદ હવે કોર્પોરેશનના અધિકારીઓએ એસપીને આવેદન આપી આ મામલામાં કડક કાર્યવાહીની માંગ કરી છે.જામનગર મહાનગરપાલિકાના ટેક્નિકલ વિભાગના અધિકારીઓએ ટેક્નિકલ યુનિયનના નેજા હેઠળ આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરેલી જે રજૂઆતના આધારે કમિશનર ડી.એન.મોદી દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહીઓ અંગે એસપીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર ટેક્નિકલ યુનિયનના હોદ્દેદારો અને સભ્યોએ આજે એસપી પ્રેમસુખ ડેલુને સુપ્રત કર્યો છે.
આ પત્રમાં જણાવાયું છે કે, કોર્પોરેશનના અધિકારી ભાવેશ નટવરલાલ જાની (સિટી ઈજનેર) દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ફરિયાદ એક નગરસેવિકાના પતિ વિરુદ્ધ થઈ છે. અને પત્રમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાના ટેક્નિકલ યુનિયનના હોદ્દેદારો અને સભ્યો કોર્પોરેશનમાં પોતાની ફરજો બજાવતાં હોય તે દરમિયાન ફીલ્ડ પર કે ઓફિસમાં યેનકેન પ્રકારે આવી ધમકીઓના ભોગ બનતાં હોય છે. જેનાથી અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્ય તથા કૌટુંબિક જીવન પર ખૂબ જ વિપરીત અસરો થતી હોય છે, જે ધ્યાને લઈ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે આ મામલામાં સખત પગલાંઓ લેવા અમોને રજૂઆત થઈ હતી, એમ જણાવી એસપી પરના આ પત્રમાં કમિશનર દ્વારા જણાવાયું છે કે, ટેક્નિકલ યુનિયનની રજૂઆત તથા અધિકારીએ નોંધાવેલી ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહીઓ કરવા વિનંતી છે.આ આવેદન એસપી કચેરીમાં આપવામાં આવ્યું ત્યારે કોર્પોરેશનની ટીપીઓ શાખા, હાઉસિંગ શાખા તથા વોટર વર્કસ શાખા સહિતના વિવિધ વિભાગોના ટેક્નિકલ અધિકારીઓ હાજર રહ્યા હતાં અને આવેદનપત્ર આપ્યું હતું.