Mysamachar.in-જામનગર:
ગઈકાલે કેન્દ્રના નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ પર અલગ અલગ પ્રતિભાવો સામે આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમની બજેટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તેવોએ જાહેર કરેલ યાદીમાં જણાવ્યું છે કે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કેન્દ્રીય બજેટ રજ કરવામાં આવ્યું છે. આ બજેટમાં તેઓએ નવા નવા વાયદાઓનો વરસાદ કરવામાં કાઈ બાકી રાખેલ નથી. સામાન્યવર્ગ અને મધ્યમવર્ગ અને ખેડુતો માટે માત્ર આશ્વાસન સિવાય કંઈ જ આપવામાં આવ્યું નથી.જયારથી આ દેશમાં ભાજપ કેન્દ્રમાં સતારૂઢ થયો છે ત્યારથી દેશમાં અને રાજયોમાં રોજગારીની કટોકટી ઉભી થઈ છે. દેશના યુવાનો રોજે રોજ વધુ ને વધુ બેરોજગાર થઈ રહયા છે.
એક બાજુ ભાજપની સરકાર “સ્વનિર્ભર” ની વાતો કરે છે પણ સવાલ એ છે કે લોકોને સ્વનિર્ભર થવું છે પણ રોજગારી ક્યાં ? દેશના યુવાનોને ખોટા સપનાઓ બાતાવવામાં આવી રહયા છે. 60 લાખ નોકરી આપવાની વાતો કરે છે. જયારે સતામાં નહોતા આવ્યા ત્યારે બે કરોડ લોકોને નોકરી આપવાના વચનો આ દેશના પ્રધાનમંત્રીએ આપેલ હતું. ત્યારે આજે દેશમાં કરોડો યુવાનો નોકરીઓ માટે દર-દર ભટકી રહયા છે. લાખો યુવાનો દેશ છોડી વિદેશની વાટ પણ પકડી રહયા છે. આ યુવાનો પોતાના માતા-પિતાની જીંગદીની મરણ મુડી બાળકોને ભણાવવામાં ખર્ચી નાખે છે. જયારે મધ્યમવર્ગનો યુવા વર્ગ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. તેમના પરિવાર પર કરના બોજ છે. બેરોજગાર શિક્ષિત યુવાનોની લાયકાત મુજબની રોજગારી મળતી નથી. તે આજની સૌથી મોટી સમસ્યા છે.
આ દેશના ખેડુતો પાયમાલ થઈ ગયા છે. તેઓને તેની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. તેની સામે દવા–ખાતર બિયારણ અનેક ગણા મોંધા ભાવે ખરીદવા પડે છે. જો સરકાર આવાને આવા નિર્ણયો લેતી રહે છે તો દેશના ખેડુતો પાયમાલ થઈ જશે. આવતા દિવસોમાં મેઈક ઈન ઈન્ડીયા” “સ્કિલ ઈન્ડીયા’ અને “વોકલ ફોર લોકલ” જેવા સુત્રો કાઢીને દેશની જનતાને અને યુવાનોને ગુમરાહ કરી રહી છે. સરકાર દ્વારા બજેટમાં ભારત દેશની નદીઓ જોડવાની વાતો થઈ રહી છે ત્યારે ખરી જરૂરીયાત નાની નાની નદીઓ પર ડેમો બાંધવાની ઉપરાંત કેટલાય ડેમોના અધુરા કામો છે તે પુરા કરવાની જરૂરીયાત છે. કેટલાય ડેમો કેનાલો ખુબ જ જર્જરિત છે અને આ જર્જરિત ડેમો કેનાલોનાં પાણી ખેડુતોના ખેતરોમાં ફેલાઈ ઉભા પાકને બગાડે છે. તેને રીપેર કરવાની જરૂરીયાત પહેલા આ કરો પછી મોટી મોટી નદીઓ જોડજો.
કેન્દ્રની ભાજપ સરકારનું બજેટ વાયદા બજારથી વિશેષ કંઈ જ નથી માત્ર આંકડાઓની માયાજાળ છે. દેશની જનતાને કે યુવાનો, ખેડૂતોને આ બજેટ થી કોઈ જ ફાયદો નથી. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને વધુને વધુ માલામાલ બને અને ગરીબો વધુને વધુ ગરીબ થતા જાય તેવું બજેટ કેન્દ્રની ભાજપ સરકારે આપ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને આંબા-આંબલી બતાવવાથી વિશેષ દેશની જનતાને આ કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ કર્યું નથી. ”યે હૈ ભારત કે પ્રધાનમંત્રી સપનો કે સૌદાગર”. તેમ અંતમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા જણાવવામાં આવેલ છે.