Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં કેટલાક કોર્પોરેટરો, કેટલાક કોર્પોરેટર પતિઓ તો કેટલાક બહારના લેભાગુઓ બાહુબલી બની અને અધિકારીઓ અને કર્મચારીઓને દબાવી અને પોતાનું ધાર્યું કરાવવા માટે તમામ હથકંડાઓઓ અપનાવી રહ્યા છે જેને કારણે અધિકારીઓ અને કર્મચારીઓ માનસિક યાતના ભોગવે છે કેટલાય અધિકારીઓ તો એવા છે જેને કેટલાય રોગોની દવાઓ ખાવાની ફરજ પડે છે તેવામાં બે દિવસ પૂર્વે જામનગર મનપાના વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજશી ઉર્ફે દીપુએ સીટી ઈજનેર ભાવેશ જાનીને એક ના થઇ શકે તેવું કામ કરાવવા માટે ભયમાં મૂકી દરમાસે 1 લાખની ખંડણી અને વકીલ જેમ હત્યા કરાવવાની આડકતરી ધમકીથી જામનગર મનપાના ટેકનીકલ યુનિયનમાં રોષ વ્યાપી જવા પામ્યો છે અને હવે બસ આ રીતે નહિ ચાલે તેવો નિર્ધાર નક્કી થયો હોય તે અંગેનું એક આવેદનપત્ર આજે યુનિયન દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા માંગણી કરવામાં આવી છે,
આજે આપેલ આવેદનપત્રમાં ટેકનીકલ યુનિયન દ્વારા લખવામાં આવ્યું છે કે જામનગર ટેકનીકલ યુનીયન જે 400 જેટલા સભ્યોનું યુનિયન છે, જામનગર મનપામાં અધિકારીઓ કર્મચારીઓ ઉપર ખોટા કામો કરાવવા માટે દબાણ, માનસિક ત્રાસ તથા ધમકીઓ તેમજ જુદા-જુદા કાયદાઓનો ખોટી રીતે ઉપયોગ કરી, ખોટી ફરીયાદો કરી અધિકારીઓ કર્મચારીઓના મોરલ તથા આત્મસન્માન પર આડકતરી રીતે હુમલો કરી તેઓની કર્મનિષ્ઠતા પ્રત્યે ખોટા સવાલો ઉભા કરી, કામગીરી ખોરવાય તે રીતની પધ્ધતિઓ છેલ્લા કેટલાય સમયથી ફૂલીફાલી છે,
જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયનના તમામ સભ્યો મહાનગરપાલિકાની પતિષ્ઠા શાખ અકબંધ રહે તે રીતે દિવસ-રાત જોયા વગર કે કોઈપણ રજાઓ જોયા વગર અવિરતપણે પ્રજાના કાર્યો કરવામાં પીછે હઠ કરતાં નથી તેમજ જામનગર શહેરની જનતા માટેના કોઈપણ કામો કરવા માટે કટીબધ્ધ છે. અગાઉ પણ એસ્ટેટ ઓફીસર ધ્વારા તેઓની દબાણ દુર કરવાની રૂટીન કામગીરીઓમાં પણ આ પ્રકારની ધાકધમકી ગેરવર્તન, અપશબ્દો વિગેરે જેવું ગેરવર્તન કરી તેઓની કામગીરીમાં વિક્ષેપ પાડવામાં આવેલ છે તથા તેઓની ફરજમાં રૂકાવટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવેલ છે.
તાજેતરમાં જ તા.26 ના રોજ મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર ભાવેશ જાની તેઓની ચેમ્બરમાં પોતાની કામગીરી કરી રહયા હતાં કોર્પોરેટરના પતિ ધ્વારા ખોટી ફાઈલમાં સહી કરવા અંગે ધાકધમકી, અસભ્ય વર્તન તથા એટ્રોસીટીના કાયદાનો ખોટો ઉપયોગ કરી ફસાવી દેવા તેમજ ખંડણી માંગવા સહિતનું ગેરવર્તન કરવામાં આવેલ છે. જે તદન ગેરવ્યાજબી તથા અસ્વીકાર્ય છે. આ બાબતે સીટી એન્જીનીયર ભાવેશ જાની ધ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની FIR પણ કરવામાં આવેલ છે. વધુમાં સોલીડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઈજનેર ધ્વારા અમુક સમય પુર્વે એક કર્મચારીની ટ્રાન્સફર અન્ય જગ્યાએ કરતાં તેઓ ધ્વારા પણ કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવા વિરૂધ્ધ ખોટી એટ્રોસીટી અંગેની ફરીયાદ કર્યા અંગેની અ૨જી કરવામાં આવેલ છે. જે પણ તદ્દન વખોડવા લાયક કૃત્ય છે. કર્મચારીની બદલી એ એક રૂટીન પ્રક્રિયા છે. આ પ્રકારના વાતાવરણમાં કામ કરવું એ તમામ કર્મચારીઓ માટે બહુ જ મુશ્કેલભર્યું રહે છે.
આવા કિસ્સાઓ સિવાય પણ મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયનના કર્મચારીઓ પોતાની ફરજ બજાવતાં તે દરમ્યાન ફિલ્ડ પર કે ઓફિસમાં યેનકેન પ્રકારે આવી ધમકીઓનો ભોગ બનતાં હોય છે. જેનાથી કર્મચારીના આરોગ્ય પ૨ તેમજ તેઓના કૌટુંબીક જીવન પર પણ બહુ જ ખરાબ અસરો થાય છે. જે ધ્યાને લઈ આ પ્રકારની ઘટનાઓ ન બને તે અંગેના સખત પગલાઓ લેવા આજે ટેકનીકલ કર્મચારી યુનિયન દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવતા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ પણ કહ્યું કે અધિકારીઓ કર્મચારીઓના હિતોનું રક્ષણ થાય તે માટે આવશ્યક તમામ પગલાઓ લઇ અને જરૂરી કાર્યવાહીઓ આવા તત્વો પર સમયાંતરે કરવામાં આવશે.