Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનો વહીવટ અવારનવાર ચર્ચાઓના ચાકડે ચડે છે. મહાનગરપાલિકામાં RTI અને અરજીઓ પણ પુષ્કળ થાય છે. ઘણાં લોકો અન્ય લોકો મારફતે RTI અને અરજીઓ કરી, તંત્ર અને કેટલાક અધિકારીઓને બાનમાં રાખવા બધાં જ પ્રકારના હવાતિયાં પણ લગાવતા હોય છે. અને, હાલમાં એક પૂર્વ નગરસેવક વિરુદ્ધ એક અધિકારીએ ગંભીર પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં મામલો ગરમાયો છે. જો કે આ આરોપીને દિવસો બાદ પણ પકડી શકાયો નથી પરંતુ આ ફરિયાદ અને આગળ વધી રહેલી તપાસ જે દિશામાં અને જે ગતિથી આગળ વધી રહી છે તેને કારણે અન્ય કેટલાંકને પણ તાપ પહોંચી રહ્યો હોવાનું અને એમાંથી કેટલાંક તો સંબંધિત અધિકારીઓને બે હાથ અને ત્રીજું માથું પણ જોડી રહ્યા છે અને પગ પણ પકડી, અમને બચાવી લેજોની અરજ કરી રહ્યા હોવાનું માહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.
વહીવટી પારદર્શિતા અને ભ્રષ્ટાચાર પર અંકુશ માટે RTI કારગર ઉપાય છે એ ખરૂં પરંતુ આ કાયદાનો પણ દુરુપયોગ થતો રહેતો હોય છે અને ઘણાં લોકો માટે તો RTI આજિવિકાનું સાધન બની ગયેલ છે. વધુ આવડત ધરાવતાં લોકો RTI નો વિશિષ્ટ રીતે દુરુપયોગ કરી, ચોક્કસ પ્રકારની ગોઠવણ પણ પાર લેતાં હોય છે.
જામનગર મહાનગરપાલિકાની TPO સહિતની શાખાઓમાં ઘણાં લોકો RTI અને સ્ટીરીયો ટાઈપ અરજીઓ મારફતે બ્લેકમેઈલિંગનો બિઝનેસ પણ સેટ કરી લેતાં હોય છે. તાજેતરમાં એક પૂર્વ નગરસેવક વિરુદ્ધ કોર્પોરેશનના સિટી ઈજનેરે આકરી પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં અને પોલીસ તપાસ દરમ્યાન RTI અરજીઓ અંગેની સિલસિલાબંધ વિગતો બહાર આવતાં, આ પૂર્વ નગરસેવક ઉપરાંત અન્ય ત્રણ-ચાર વજનદારોના પગ નીચે પણ રેલો શરૂ થયો છે. બીજી તરફ મનપાના સીટી ઈજનેરને ધમકી અને હપ્તો માગવાના પ્રકરણમાં એક પદાધિકારી વળી એવો પણ મત ધરાવે છે કે, આવા મામલાઓમાં પોલીસ ફરિયાદ અને સમાજ આવેદનપત્ર આપવા આવે તે સારો ઉપાય ન લેખાવી શકાય..!!!! આ ચર્ચાઓ પણ મહાનગરપાલિકાની દીવાલો પર અથડાઈ રહી છે.
RTI સંબંધિત પોલીસ તપાસ આગળ વધતાં, કદાચ એવું પણ બને કે આગામી સમયમાં અન્ય બે-ચાર લોકોને પણ આકરૂં પડવાની સંભાવનાઓ હોવાનું સૂત્ર જણાવે છે. અને, એક ઓડિયો ક્લિપ અંગેની ચર્ચાઓ પણ કોર્પોરેશનમાં હોટ વિષય બન્યો છે. એક રીતે જોઈએ તો, ખંડણી પ્રકરણ અને તે પછીની પોલીસ ફરિયાદ અને તપાસ- આ બધી બાબતોને કારણે સદાય ધમધમતાં કોર્પોરેશનમાં હાલ ગજબ શાંતિ અને સન્નાટો છવાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાએ અધિકારીઓને ધમકી અને બ્લેકમેઈલિંગના ભૂતકાળમાં આમ તો ઘણાં કિસ્સાઓ જોયા છે. ઘણી વખત ધમકીઓની ચર્ચાઓ પણ લાંબો સમય ચાલી છે પરંતુ આ વખતે મહાનગરપાલિકા આકરાં વલણ તરફ આગળ વધી રહી હોય, આગામી સમયમાં વધુ બે-ચાર લોકોનાં ગ્રહો વંકાય- એવી પણ શકયતાઓ સૂત્ર વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કોર્પોરેશનમાં અધિકારીઓ શાંતિ અને આત્મવિશ્વાસનો અહેસાસ કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે. અને, સંબંધિત કથિત કસૂરવારો અશાંતિનો ઉકળાટ અનુભવી રહ્યા છે.
-અધિકારીઓને થતી પરેશાની મુદ્દે કમિશ્નર મોદી જતુ કરવાના મુડમાં નથી તે વાત સ્પષ્ટ….
જામનગર મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેવોએ ભલભલા ચમરબંધીઓને ન થઈ શકે તેવી ભલામણો અને રજુઆતો માટે કચકચાવીને જવાબો આપી અને રવાના કરી દીધા છે, અને અધિકારીઓને પણ આ ટેવ પાડવા પ્રેરણા આપી છે, મનપાના એક પણ અધિકારી કે કર્મચારીને કોઈપણ પરેશાની થાય તો તેવો તેમની સાથે જ છે તેવો કોલ કેટલાક કિસ્સાઓમાં આપ્યો છે અને તાજેતરમાં સીટી ઈજનેરના કિસ્સામાં પણ તેવોએ ડર્યા વગર અધિકારીઓને આવા તત્વોને ખુલ્લા કરવા આહ્વાન કર્યું છે જેને કારણે અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ મજબુત થયું છે અને તેવો વિના ભારણે કામ કરતા થયા છે. જેથી આગામી દિવસોમાં કઈક નવા કડાકાઓ થશે તે વાત નિશ્ચિત છે.