Mysamachar.in-જામનગર:
એક દેશ, એક ટેક્સ એવા રૂપાળા સૂત્ર સાથે દેશભરમાં સાડા સાત વર્ષ અગાઉ સરકારે GST નામનું નવું કરમાળખું દાખલ તો કરી દીધું પરંતુ સરકારે આ નવા માળખામાં કરોડો કરદાતાઓની ચિંતાઓ કરી નથી. કરોડો કરદાતાઓ ટ્રિબ્યુનલના અભાવે પીડા ભોગવી રહ્યા છે, કરદાતાઓના કરોડો રૂપિયા કરવિવાદોમાં બ્લોક છે પરંતુ કરોડો કરદાતાઓની પીડા દૂર કરવામાં સૌ સંબંધિતો (વેપાર ઉદ્યોગની સંસ્થાઓ અને જન પ્રતિનિધિઓ) અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે, કેમ કે દિલ્હી કોઈને ગાંઠતું નથી અને સાંભળતું પણ નથી.
GSTના અમલના સાડા સાત વર્ષ બાદ પણ સરકાર કરોડો કરદાતાઓને કરવિવાદો નિપટાવવા ટ્રિબ્યુનલ આપી શકી નથી. કરદાતાઓ એકમેકને પૂછી રહ્યા છે: સરકાર આટલાં વર્ષોથી આ મામલે શું કરી રહી છે ? કે, કશું જ નથી કરતી ?! અત્રે ઉલ્લેખનિય છે કે, GST તંત્રના અધિકારીઓ દ્વારા કરદાતાઓના હિસાબોનું વર્ષવાર એસેસમેન્ટ થતું હોય છે. અને આ એસેસમેન્ટ બાદ તંત્ર કરદાતાઓને ટેક્સ ડિમાંડ મોકલી, કહે છે કે, ફલાણાં વર્ષ માટે આટલો ટેક્સ જમા કરાવો. જે કરદાતાઓ મૂંગા મોંએ આ રકમ જમા કરાવે તેનું એસેસમેન્ટ તંત્ર દ્વારા પૂર્ણ થયેલું જાહેર થઈ જાય છે અને તે માટેના ઓર્ડર તંત્ર આપી દે છે.

આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન સંખ્યાબંધ કરદાતાઓ તંત્રની એસેસમેન્ટ કામગીરીઓથી નારાજ થાય છે, તેઓ હુકમ મુજબની રકમ તંત્રમાં જમા કરાવતાં નથી અને વિવાદી રકમની 10 ટકા રકમ તંત્રમાં જમા કરાવી તંત્ર વિરુદ્ધ અપીલમાં જાય છે. આવા અપીલોના સંખ્યાબંધ કેસ તંત્ર ચલાવતું નથી. આ કરદાતાઓ માનસિક ત્રાસ અને તણાવ અનુભવે છે. તેઓની ધંધા માટેની જરૂરી રકમ પૈકીના નાણાં અપીલ કેસમાં બ્લોક થઈ જાય છે. બીજી તરફ તંત્ર આ અપીલના કેસો ચલાવતું નથી.
આ પ્રકારના ઘણાં ટેક્સ વિવાદો ટ્રિબ્યુનલના અભાવે વડી અદાલતમાં પહોંચે છે. વડી અદાલત ઘણાં કેસોમાં GST અધિકારીઓને ઠપકો પણ આપે છે, ઘણાં કેસમાં અધિકારીઓનો ઉધડો પણ લેવામાં આવે છે. કરદાતાઓને કામો મૂકી અમદાવાદ ધક્કા ખાવા પડે છે, લાંબા સમય સુધી કેસનો નિવેડો આવતો નથી. કરદાતાઓ ભારે પીડા ભોગવે છે. કરદાતાઓની કોઈને ચિંતાઓ નથી.

વડી અદાલતે ખુદે એક કરતાં વધુ વખત કહી દીધું છે કે, સરકારે ટ્રિબ્યુનલ રચવી જોઈએ. આમ છતાં અત્યાર સુધી દરેક ઝોનમાં ટ્રિબ્યુનલની વ્યવસ્થાઓ કરદાતાઓને આપવામાં આવી નથી. માત્ર જામનગરની જ વાત કરીએ તો, સેંકડો કરદાતાઓના કેસો અપીલના તબક્કે રાજકોટમાં પડતર છે. તંત્ર કામ કરતું નથી. વર્ષ 2017-18, 2018-19 ના આવા કેસો આજની તારીખે અપીલમાં પડ્યા છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળે છે કે, એસેસમેન્ટ પૂર્ણ થઈ ગયું છે, એવું પ્રમાણપત્ર આપવામાં પણ તંત્રની કેટલીક ‘વણલિખિત’ શરતો હોય છે, આ શરતો પૂર્ણ કરવા કરદાતાઓએ મોટી રકમ અન્ડર ટેબલ આપવી પડતી હોય છે. એ વધારાની નુકસાની.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ટ્રિબ્યુનલ શરૂ થવાની સંભાવનાઓ છે. શરૂઆતમાં અમદાવાદ તથા રાજકોટ ઝોન માટે ટ્રિબ્યુનલ શરૂ થશે, બાદમાં સુરત ખાતે પણ ટ્રિબ્યુનલ શરૂ થશે. જામનગર, જૂનાગઢ સહિતના કેસ રાજકોટ ખાતે ચાલશે. જો કે એમ પણ કહેવાય છે કે, દિવાળી પહેલાં આ ટ્રિબ્યુનલ શરૂ થવાની શકયતાઓ પાતળી છે.

-તોડ પણ થતાં રહેતાં હોય છે !!?
GST કરદાતાઓ માટે તંત્ર આમ જૂઓ તો ‘પોલીસ’ જ છે, દમદાટી-તપાસનો ડર- અને ઓફ ધ રેકોર્ડ ડિમાંડ જેવા દૂષણો સરકારના કયા વિભાગમાં નથી હોતાં ? એ પણ સવાલ છે. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, તાજેતરમાં એક કરદાતાને રૂ. 70-80 લાખ વચ્ચેની એક ફિક્સ રકમ ટેક્સ ડિમાંડ તરીકે તંત્રમાં જમા કરાવવા અને અન્ય એક કરદાતાને રૂ. 60-70 લાખ વચ્ચેની એક ફિક્સ રકમ આ રીતે જમા કરાવવા ઓન ધ રેકોર્ડ આદેશ થયા બાદ કહેવાય છે કે, બંને મામલા સૂલટાવી લેવામાં આવ્યા. એમ કહેવાય છે કે, આ બંને કરદાતાઓએ ‘એકસરખી’ ફિક્સ રકમ ચોક્કસ કક્ષાએ પહોંચાડી દીધી અને રેકોર્ડ પર ફાઈલો કલીયર કરી આપવામાં આવી.

GST વર્તુળોમાં જોરદાર રીતે થતી આ ચર્ચાઓ પાછળની હકીકતો જાણવા વિજિલન્સ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ ગાંધીનગર લેવલથી ગોઠવાય તો, આ પ્રકારની ચર્ચાઓનો ભેદ ખૂલી શકે. અને, જે કાંઈ સત્ય હોય, તો તે બહાર આવી શકે. જામનગર GST કચેરી જૂનાગઢ કચેરી કહે એટલું જ પાણી પિવે છે, એવો પણ પ્રચાર થાય છે. આ પ્રચાર ખરો છે કે, જામનગર કચેરી જૂનાગઢ કચેરી ( જોઈન્ટ કમિશ્નર) ને અંધારામાં રાખી, પોતાની રીતે તિરંદાજી કરી, ધારેલા નિશાન પાર પાડી લ્યે છે, એ બધી જ બાબતોની ગાંધીનગર કક્ષાએથી તપાસ થાય તો હકીકતો જાણવા મળે, એમ ધંધાર્થીઓની ચર્ચાઓમાં જાણવા મળે છે.
