Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં અને દેશભરમાં પણ, શિક્ષણની વ્યવસ્થા યોગ્ય ન હોવાની ટીકાઓ અને ટિપ્પણીઓ જુદાં જુદાં સ્તરે થતી રહેતી હોય છે. ગુજરાતમાં તાજેતરમાં આવું ઉપરાઉપરી બે વખત બન્યું છે ! કેબિનેટ કક્ષાના કૃષિમંત્રીએ ટીકા કરી છે, કૃષિ મંત્રી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સાથે સંકળાયેલા પણ છે.
થોડાં દિવસો પહેલાં કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યનાં શિક્ષણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, હું શિક્ષણની સાથે સીધો જ સંકળાયેલો છું, હકીકતો જાણું છું. ત્યારબાદ ફરી તેઓએ શિક્ષણ સંબંધે નિખાલસ નિવેદન આપ્યું છે. જો કે, હોબાળો મચવાની દહેશત ધ્યાનમાં રાખીને તેઓએ પત્રકારો સમક્ષ પછી સ્પષ્ટતા પણ કરી હતી.
કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પદ્ધતિ એ પ્રકારની છે કે, દેશમાં કોઈને વિદ્યાશાખામાં નોબેલ પ્રાઈઝ મળ્યું નથી, મળતું નથી. તેઓએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આપવામાં આવી રહેલાં શિક્ષણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે બાદમાં પત્રકારો સમક્ષ તેઓએ આ જ વાતને બીજા શબ્દોમાં મૂકી હતી અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મેં આમ કહ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં એમ પણ કહ્યું હતું કે, આપણે ત્યાં શિક્ષણમાં નવું કશું થતું નથી.
કૃષિમંત્રીની વાતમાં હકીકતનો સ્વીકાર અને રણકો છે જ ! શિક્ષણનું સ્તર અને પધ્ધતિ આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ ટનાટન બનાવી શકવામાં આપણે પૂરેપૂરાં સફળ થયા નથી. શિક્ષણ પધ્ધતિને પ્રેક્ટિકલ બનાવવામાં અને પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજ શિક્ષણ સુધી ક્વોલિટી જાળવવામાં આપણે સફળ રહ્યા નથી, એ હકીકત સૌએ સ્વીકારવી રહી.