Mysamachar.in:જામનગર
જર (ઝવેરાત-નાણું), જમીન અને જોરૂ, ત્રણ કજિયાના છોરું. આ કહેવતને યથાર્થ ઠેરવતો એક કાનૂની વિવાદ તાજેતરમાં જામનગરમાં એક શૈક્ષણિક સંસ્થા અને વાલી વચ્ચે ખેલાયો. જેમાં પણ મામલો નાણાંનો જ હતો. આ વિવાદમાં શૈક્ષણિક સંસ્થાનો વિજય થયો છે. વાલીની ફરિયાદ જ રદ્ કરવામાં આવી છે. જામનગરમાં જયેશભાઇ મિસ્ત્રી તથા અરવિંદભાઈ સોરઠિયા દ્વારા આકાશ બાયજૂસની જામનગર બ્રાંચ વિરુદ્ધ સર્વિસમાં ઉણપ અંગેની એક ફરિયાદ જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. ફોરમે આ ફરિયાદ રદ્ કરતો ચુકાદો આપ્યો છે.
આ બંને ફરિયાદીઓનાં પુત્રોએ શિક્ષણ માટે આકાશ બાયજૂસની જામનગર શાખામાં પ્રવેશ મેળવ્યો હતો. ફરિયાદીઓએ અમુક નાણાં પણ આ શૈક્ષણિક સંસ્થામાં જમા કરાવ્યા હતાં. પછી કોઈ કારણસર આ વિદ્યાર્થીઓએ એડમિશન રદ્ કરાવવા પ્રયત્ન કરતાં, આ સંસ્થાએ ફરિયાદીને નાણાં પરત આપવા ઈનકાર કર્યો હતો. જેને કારણે આ આખો મામલો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સુધી પહોંચ્યો.
આ કેસ ફોરમમાં ચાલ્યો ત્યારે, શૈક્ષણિક સંસ્થાનાં વકીલ મયૂર ભટ્ટે ફોરમ સમક્ષ દલીલો કરી હતી કે – આકાશ બાયજૂસ સર્વિસ પ્રોવાઈડર નથી. આ સંજોગોમાં આયોગને આ કેસ ચલાવવા હકૂમત નથી. ફરિયાદીને સંસ્થા દ્વારા જેતે સમયે સંસ્થાની શરતો અંગે વાકેફ કરવામાં આવ્યા હતાં. અને આ શરતોમાં ફરિયાદીઓએ જેતે સમયે સહીઓ પણ કરી આપી હતી. સંસ્થાની પોલિસી અંગે ફરિયાદીને અગાઉથી જ બધું સમજાવવામાં આવ્યું હતું. સંસ્થાની કોઈ સેવાકીય ખામી નથી અને આ વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે કોચિંગ ક્લાસ છોડી દીધો હતો એમ વકીલે દલીલો કરતાં ઉમેર્યું હતું.
-સંસ્થાના વકીલ દ્વારા એ દલીલ પણ કરવામાં આવેલી કે…
આ વિદ્યાર્થીઓ ગ્રાહક નથી. અને એજ્યુકેશન એ કોઈ ચીજવસ્તુ નથી કે તેનું વેચાણ થઈ શકે. આ કેસમાં સંસ્થાનાં જામનગર બ્રાન્ચના મેનેજર દિનેશ વર્મા દ્વારા પુરાવાઓ દર્શાવતું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ ફોરમનાં અગાઉનાં ચુકાદાઓ પણ આ કેસમાં રજૂ કરવામાં આવ્યા હતાં. અને આ ફરિયાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમનાં પરવ્યૂમાં આવતી નથી એવી પણ દલીલ કરવામાં આવી હતી. તમામ હકીકતો તથા આકાશ બાયજૂસનાં વકીલ મયૂર ભટ્ટની દલીલો અને વિવિધ ચુકાદાઓ ધ્યાનમાં લઈને ફોરમે ફરિયાદીની ફરિયાદ રદ્ કરતો હુકમ ફરમાવ્યો હતો.