Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનના ટેકનીકલ યુનિયનના એન્જીનિયરો ખરેખર વિકાસનો પ્રાણ છે, તેમજ સાત લાખની વસતીની સુખ સુવિધાના દોડતા એકમ સમાન છે તે પબ્લીક પણ જુએ છે પરંતુ તેમ છતા તેમને અન્યાય થયા કરે છે તે બાબત એક વર્ષથી મૌખિક લેખીત અથડાયા કરે છે તેમા પણ વળી અનેક માંગો અંતર્ગત અમુક આશાના કિરણ કાર્યપાલકોની ખાલી જગ્યાના ચાર્જના ફુટ્યા તા પરંતુ તે પણ કોણીએ ગોળ જેવા સાબિત થાય તેવુ લાગે છ કેમકે હવે કાર્યપાલકોની ભરતી કરવાની પ્રક્રિયા કોર્પોરેશન કરે તે માટેનો તખતારૂપી ખેલ પડવા જઇ રહ્યો છે અને ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો તેવો ઘાટ ઘડાશે કેમકે અગાઉ ભુગર્ભની પોસ્ટ મામલે જલન મિશ્રીત ટાઢક કરી બેસનાર કે બેસનારા કોર્પોરેશન બહારના ભેજાબાજ સંચાલકો નવા જુના બે ય હિસાબ કરવાની ફિરાકમા છે આ શૈતાની દિમાગ કોર્પોરેશનના ખરેખર કામ કરનારાઓના નૈતિક બળ તોડશે તેવુ તારણ સમીક્ષકોનુ છે જો કે સમગ્ર ત્રાગા મામલે જામનગર કોર્પોરેશન ટેકનીકલ યુનિયનને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરી ચીમકી આપવી પડી છે,
જામનગર કોર્પોરેશન ટેકનીકલ યુનિયનના હોદેદારો વર્ક આસી. મદદનીશથી માંડી જુનિયર નાયબ કા.ઇ. સૌનૈ સાથે લઇ ચાલનારૂ યુનિયન છે અને તમામ સભ્યોના હિત ખાતર રજુઆતો કરે છે અને કમિશનર સમક્ષ તબક્કાવાર માંગણી બાદ પુરતો સમય આપી જરૂરી વિરોધ દેખાવ વગેરે કર્યા બાદ પણ કઇ નિવેડો લાવવાના બદલે વહીવટીપાંખ અને સતાધારી પાંખ આ પાયા સમાન સ્કીલને અવગણી હજુ મનમાની કરવા જઇ રહ્યાનુ ફરીથી થયેલી આ યુનિયનની રજુઆત પરથી તારણ નીકળે છે તેમજ દરેક ખાલી જગ્યા નિયમાનુસાર ભરવા પણ માંગણી કરાઇ છે,
જેમકે છેલ્લા ધણા સમયથી વર્ક આસિસ્ટન્ટ અને અ.મ.ઈ. જે પણ 7 થી 10 વર્ષ જેટલા સમયથી મહાનગરપાલિામાં ફરજ બજાવતા હોય અન્ય કોર્પોરેશનમાં આવા કર્મચારીઓ માટે 50% જગ્યા રીઝર્વ રાખવામાં આવે છે. જેના ઉદાહરણરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુ પણ દૃષ્ટાંત યુનિયને કમીશનર સમક્ષ રજુ કર્યુ છે જે અંગેની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે અને કોન્ટ્રાકટ બેઈઝ માત્ર વહીવટી પ્રક્રિયા લાંબો સમય ચાલી ન શકે તે બાબત ખુબજ ગંભીર હોય આ બાબતે ટોચ અગ્રતા આપવામા આવે તેવી રજૂઆત કરાઇ છે. જનરલ બોર્ડ ધ્વારા મંજૂર થયેલ 2015 ના સેટઅપ મુજબ તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામા આવે તેવી અવારનવાર રજૂઆત થઇ છે તે પણ જગજાહેર છે પરંતુ સુખદ ઉકેલ નથી.
આવા ઘણા જ ટેકનીકલ અને કાયદા મુજબના મુદાઓ તો યુનિયનની રજુઆતમા છે, જ તેમા વળી ગંભીર મુદો એ પણ ઉભરી આવ્યો છે કે જામનગર મહાનગરપાલિકા રીવાઈઝડ સેટઅપ મુજબ કાર્યપાલક ઈજનેરની ચાર જગ્યા ખાલી છે. તેને બહારથી ભરવાની વાતો હાલ ચાલી રહેલ છે પરંતુ મહાનગરપાલિકા પાસે અનુભવી અને ટેકનીકલી એલીજીબીલીટી ધરાવતા કર્મચારીઓ હોય તેનો આ જગ્યા ઉપર પ્રથમ પ્રમોશનનો હકક બને છે. નહીં કે બહારથી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાનો. જો આવુ યુનિયનને વિશ્વાસમાં લીધા વગર કોઈપણ કાર્યવાહી કરવામા આવશે તો આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે તા.30-05-21 થી ચોકકસ આંદોલન થશે જેની સઘળી જવાબદારી જામનગર મહાનગરપાલિકા, વહીવટી વડાની રહેશે તેવી ચીમકીથી કોર્પોરેશનનુ પડ ફરી ગરમ થયુ છે,
-પ્રમોશન પોસ્ટીંગ વગેરે ગંભીર મામલા ગણાય
આ અંગે મહત્વનો મુદોએ પણ છે કે વહીવટી કર્મચારીઓમાં વર્ગ-1 થી 4 સુધીમાં જે લોકો યોગ્ય લાયકાત અને સિનિયોરીટી ધરાવતા હોય તેવા લોકો પ્રમોશનમાં કોઈ બાકી ન રહી જાય તેવી રજૂઆત પણ થઇ છે. તેમજ નવી ડાયરેકટ ભરતીના રેશિયા મુજબ વર્ષ 2015 ના નવા સેટઅપથી લાયકાત ડાયરેકટ ભરતીના કિસ્સામાં જ લાગુ પાડી શકાય નહીં કેમકે પ્રમોશનમાં આ ખુબજ ગંભીર બાબત છે જે અંગે યોગ્ય નકકર કાર્યવાહી કરવામા આવે તેવી રજૂઆત થઇ છે. જે ખરેખર કોર્પોરેશનના હિતમા છે તેમ સમર્થકોનુ માનવુ છે.
-સમગ્ર ગરમા ગરમી વચ્ચે ચીફ ઓડીટરનો મામલો પણ ગરમાયો
કોર્પોરેશનમાં ચીફ ઓડીટરની જગ્યા 120 દિવસ પછી ખાલી થાય છે તો તેની ભરતી પ્રક્રિયા કેમ બહારથી નથી કરવામાં આવતી??? અને અન્ય એક કર્મચારીને આ જગ્યા ઉપર બેસાડવા માટે જગ્યા ખાલી રાખવાનો કારસો રચવામાં આવી રહયો છે. !!?? જે યોગ્ય નથી આ બાબતે યુનિયન ભવિષ્યમાં ઉગ્ર લડત આપશે તેમજ જો સેક્રેટરીની જાહેરાત ન્યુઝ પેપરમા આપી શકાતી હોય તો ચીફ ઓડીટરની જાહેરાત કેમ આપી ન શકાય આ બાબતે સ્પષ્ટ જવાબ આપવા સતાવાળાઓને પડકાર ફેંકાયો છે ઉલ્લેખનીય છે કે સરકારે ખરેખર ચીફ ઓડીટરની નિમણુંક કરવાની થાય છે.