Mysamachar.in-જામનગર
કોરોના મહામારીમાં જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવા જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એંડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરની રાજપૂત બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રક્તદાનકેમ્પમાં આજે બપોરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ આવી પહોચ્યા હતા અને તેવોએ કહ્યું કે કોરોના કાબુમાં આવે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે, મારું પેજ કોરોનામુક્ત અને વેક્સીનયુક્ત તેવી પાર્ટીના કાર્યકરોને જવાબદારી આપવામાં આવી છે તેવોએ અન્ય પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે કોઈ પાર્ટીના કાર્યકરો દેખાતા નથી પરંતુ ભાજપના કાર્યકર ડર વિના કામે લાગ્યા છે. સી.આર.પાટીલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સાસંદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા.
-રાજ્યમંત્રીએ પોતે પણ રક્તદાન કર્યું…
આજે યોજાયેલ રક્તદાન કેમ્પ રાજ્યમંત્રી હકુભા જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, સવારથી કેટલાય લોકોઆ કેમ્પમાં આવી રહ્યા છે, અને રક્તદાન કરી રહ્યા છે, ત્યારે ખુદ રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પોતે પણ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવા આગળ આવવા અપીલ કરી હતી.