Mysamachar.in:જામનગર
ધોરણ 10 નું બોર્ડ પરિણામ થોડાં દિવસો પહેલાં જાહેર થયું. જેમાં જાણવા મળ્યું છે કે, આ બોર્ડ પરીક્ષાઓમાં કેટલાંક વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે પરંતુ આ નાપાસ વિધાર્થીઓને સંબંધિત શાળાઓએ આંતરિક મૂલ્યાંકન ગુણો આપવામાં વધુ પડતી ઉદારતા દેખાડી છે ! કેટલીક શાળાઓએ તો આવા નાપાસ વિધાર્થીઓને આંતરિક ગુણો તરીકે 20 માંથી 20 ગુણ આપી દીધાં હોવાનું સામે આવ્યું છે ! આવી શાળાઓનાં આચાર્યોને ગાંધીનગરથી તેડાં આવ્યા છે. જામનગરમાં પણ આવી શાળાઓ છે. જે ઉદાર છે !
રાજ્યનાં શિક્ષણ બોર્ડે ધોરણ 10 ની પરીક્ષામાં ગુણભાર 70થી વધારી 80 ટકા કર્યા પછી આંતરિક મૂલ્યાંકન ગુણ 20 કરવામાં આવ્યા છે. જેમાં પાંચ ગુણ પ્રથમ કસોટીમાં મેળવેલ ગુણ નાં આધારે, પાંચ ગુણ બીજી કસોટીમાં મેળવેલ ગુણ નાં આધારે, પાંચ ગુણ નોટબુક સબમીશનનાં અને બાકીના પાંચ ગુણ સબ્જેકટ એનરીચમેન્ટ એકટીવિટીનાં હોય છે.
મે-2023 માં ધોરણ 10 નું જે બોર્ડ પરિણામ જાહેર થયું તેમાં ઘણાં એવાં વિદ્યાર્થીઓ પણ છે જે પરીક્ષામાં નાપાસ થયા છે પરંતુ શાળાઓએ તેમને 20 માંથી 20 આંતરિક ગુણો આપ્યા છે ! આ પ્રકારની વિસંગતતાઓ ધ્યાનમાં આવતાં બોર્ડના પરીક્ષા સચિવે આ પ્રકારની શાળાઓનાં સંચાલકોને આધારપુરાવાઓ સાથે, આ વિસંગતતાઓ સમજાવવા ગાંધીનગર બોલાવ્યા છે.
જામનગરમાં પણ ત્રણ શાળાઓ એવી છે જેમાં આ પ્રકારની વિસંગતતાઓ ધ્યાનમાં આવી છે. આ ત્રણ શાળાઓમાં સૂર્યદીપ હાઈસ્કૂલ, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ અને પ્રણામી હાઈસ્કૂલનો સમાવેશ થાય છે,એમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે. આ ત્રણેય શાળાઓનાં આચાર્યોને ગાંધીનગરથી તેડાં આવ્યા છે જેનાં કારણે જામનગરમાં શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. આ શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને આંતરિક ગુણો આપવામાં કોઈ ભૂલ કરી છે ? અને આ પ્રકારની ભૂલ જાણી જોઈને થયેલી છે કે કેમ ? વગેરે મુદ્દાઓની ગાંધીનગર ખાતે ચકાસણી થશે કેમ કે, સરકારે આ ત્રણ શાળાઓને આધારપુરાવા સાથે બોલાવી છે.