Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં ગત્ 17 મીએ જિલ્લા પંચાયતો હસ્તકની પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકો માસ સીએલ ( સામૂહિક રજા) પર રહ્યા હતા. શિક્ષણ કાર્ય બંધ રાખ્યું હતું. રાજ્યનાં અંદાજે 6000 થી વધુ શિક્ષકો ફરજ પર ગેરહાજર રહ્યા હતા. જો કે, જામનગરમાં આ આંદોલનને ખાસ પ્રતિસાદ સાંપડયો ન હતો. જિલ્લામાં માસ સીએલ પર ગયેલાં માત્ર 7 શિક્ષકોને નોટિસ આપી ખુલાસાઓ પૂછવામાં આવ્યા છે,
Mysamachar.in સાથેની વાતચીતમાં જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ આંદોલન સંદર્ભે રાજય સરકારની ટેલિફોનિક સૂચનાના આધારે જિલ્લામાં કુલ 7 શિક્ષકોને ખુલાસાઓ પૂછતી નોટિસ મોકલવામાં આવી છે. તાલુકા કક્ષાએથી જામજોધપુર તાલુકાના 2 અને જામનગર તાલુકાના 5 એમ કુલ મળી જિલ્લામાં 7 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. તેઓનાં ખુલાસા યોગ્ય નહીં જણાય તો, રાજ્ય કક્ષાએથી જે પણ માર્ગદર્શન પ્રાપ્ત થશે એ મુજબ આ શિક્ષકો વિરૂધ્ધ ખાતાકીય અને વહીવટી પગલાંઓ લેવામાં આવશે,
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગત્ 17 મીએ જ આ આદેશ તાલુકા કક્ષાએ મોકલી દિવસ ત્રણમાં ખુલાસાઓ મેળવવા જણાવવામાં આવ્યું હતું. આજે ચોથો દિવસ છે. આવેલાં ખુલાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, સરકાર તરફથી પ્રાથમિક શિક્ષકોને ઘણાં લાભો આપવામાં આવ્યા છે પરંતુ સરકારે શિક્ષકોની ઘણી પડતર માંગણીઓ હજુ સંતોષી ન હોય સરકારનાં વલણના વિરોધમાં રાજ્યભરમાં શિક્ષકો માસ સીએલ પર જતાં રહ્યા હતા. આ આંદોલન હજુ ચાલુ છે. સરકારની જાહેરાત પછી પણ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.