Mysamachar.in-જામનગર:
ભારત સરકારની યોજના અંતર્ગત ગુજરાતમાં જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીઓ જેટલાં પ્રમાણમાં ઝડપભેર આગળ વધી રહી છે, એટલાં જ પ્રમાણમાં આ વીજમીટર લગાવવાની કામગીરીઓનો વ્યાપક વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોટો દેકારો મચી ગયો છે, વડોદરામાં તો વિરોધ એટલો વ્યાપક બની ગયો છે કે, તંત્રએ હાલમાં વીજમીટર લગાવવાની કામગીરીઓને બ્રેક લગાવવી પડી છે.
અત્રે એ મુદ્દો ખાસ ઉલ્લેખનિય છે કે, કોમર્શિયલ વીજજોડાણ, ઔદ્યોગિક વીજજોડાણ અને ખેતીવાડી વીજજોડાણોમાં મોટાપાયે વીજચોરી થતી હોય છે એવું અવારનવાર ચેકિંગ સમયે બહાર આવતું હોય છે. આમ છતાં, પ્રાથમિક ધોરણે આવા વીજજોડાણોમાં સ્માર્ટ વીજમીટર લગાવવાને બદલે, તંત્રએ નાના અને પ્રમાણિક વીજગ્રાહકોને ત્યાં રહેણાંક વીજજોડાણોમાં સ્માર્ટ વીજમીટર લગાવવાનું શરૂ કરતાં અને આ સ્માર્ટ વીજમીટર અગાઉના મીટર કરતાં મોંઘા પડી રહ્યાનું બહાર આવતાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોટો દેકારો મચી ગયો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારે એવું જાહેર કર્યું છે કે- ખેતીવાડી વીજજોડાણોમાં સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવશે નહીં. અહીં લોકો એવી દલીલ પણ કરી રહ્યા છે કે, ખેતીવાડી વીજજોડાણોમાં અવારનવાર મોટી વીજચોરી ઝડપાઈ જતી હોવાનું ખુદ વીજતંત્રના રેકર્ડ પર છે, છતાં આવું શા માટે ?! અને, ઉદ્યોગો તથા વેપારીઓને ત્યાં સ્માર્ટ વીજમીટર લગાવવાની ઝુંબેશ હાથ ધરવાને બદલે નાના રહેણાંક વીજજોડાણધારકોને શા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે ? એવો પ્રશ્ન પણ લોકો પૂછી રહ્યા છે.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)
જામનગર ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, વેરાવળ, વડોદરા, સુરત, ગોધરા સહિતના શહેરોમાં સ્માર્ટ વીજમીટરનો વ્યાપક અને ઉગ્ર વિરોધ થઈ રહ્યો હોવા છતાં ખાસ કરીને જામનગરમાં વિપક્ષ આ મુદ્દે હજુ સંગઠિત અને સક્રિય થયું નથી. વિપક્ષના એક જ નગરસેવિકાને બાદ કરતાં અન્ય નગરસેવકો અને પદાધિકારીઓ વગેરે કેમ બહાર નીકળતા નથી. ચૂંટણીઓ સમયે ફોટા પડાવનારાઓ આ જબ્બર લોકઆંદોલનની આગેવાની લેવામાં શા માટે પાછળ રહી જતાં જોવા મળી રહ્યા છે ?! એવો પ્રશ્ન પણ આંદોલન કરી રહેલાં નગરજનો પૂછી રહ્યા છે.
લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, શહેર અને જિલ્લામાં એવા ઘણાં વિસ્તારો છે જે દાયકાઓથી વીજચોરી મામલે કુખ્યાત છે અને વીજતંત્રના રેકર્ડ પર આ બધી વિગતો મોજુદ છે, આમ છતાં આવા કુખ્યાત વિસ્તારોમાં જવાને બદલે તંત્ર નાના અને પ્રમાણિક વીજગ્રાહકોને નિશાન બનાવી દબડાવી ધમકાવી રહ્યું છે જેને કારણે લોકોમાં ભારે ગુસ્સો છે. ઘણાં વિસ્તારોમાં તો મહિલાઓએ નિર્ણય લઈ લીધો છે કે, આપણાં વિસ્તારમાં સ્માર્ટ વીજમીટર લગાવવાવાળી ટીમ પોલીસને લઈને આવે તો પણ વિસ્તારમાં ઘૂસવા દેવી નથી. અને આ લોકો કહે છે: હાલના વીજમીટરમાં અમને પ્રમાણિક વીજ ગ્રાહકોને કોઈ જ તકલીફ નથી, બધું બરાબર ચાલે છે, અમારે ઉલમાંથી ચૂલમાં પડવું નથી.
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/My-Samachar-Social-Media-2024.jpg)
આ ઉપરાંત કેટલાંક લોકો એમ પણ કહે છે: સરકાર વીજકંપનીઓ ખાનગી કંપનીઓને સોંપવા ઈચ્છે છે એટલે ખાનગી કંપનીઓની સુવિધાઓ માટે સરકારે આ સ્માર્ટ વીજમીટરનું ઉંબાડિયું સળગાવી મેદાનમાં મૂકી દીધું છે. ઘણાં જાણકારો એમ પણ કહે છે: સરકારે સ્માર્ટ વીજમીટર યોજનામાંથી ખેતીવાડી વીજજોડાણોને બાકાત રાખ્યા છે, એ સહિતના મુદ્દે લોકોએ તથા વિપક્ષે આ મામલાને અદાલતમાં ઘસડી જવો જોઈએ, આ માટે કાનૂની માર્ગદર્શન મેળવવું જોઈએ.(symbolic image source:google)
![](https://mysamachar.in/wp-content/uploads/2023/12/default-ad.jpg)