Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં કાલાવડ માર્કેટ યાર્ડની કામગીરી સતત ત્રણ-ત્રણ દિવસથી બંધ હોવાને કારણે ભારે બબાલ સર્જાઈ છે. હજારો ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો પાછલાં 72 કલાકથી વેચી શક્યા નથી. માલ બગડી રહ્યો છે. નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઈ ગયાં છે. ખેડૂતો પરેશાન છે. યાર્ડમાં ત્રણ દિવસથી હરરાજી બંધ છે. કેમ કે, વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, તેઓએ ખરીદી બંધ કરી દીધી છે. યાર્ડ સત્તાવાળાઓએ વેપારીને મળતાં કમિશનમાં ઘટાડો કરતાં, વેપારીઓ આકરાં પાણીએ છે.
સૌરાષ્ટ્રમાં અન્ય યાર્ડમાં વેપારીઓને યાર્ડ દ્વારા જે કમિશન આપવામાં આવે છે તે દરોની સરખામણીએ કાલાવડમાં વેપારીઓને વધુ કમિશન આપવામાં આવતું હતું. તાજેતરમાં રાજ્ય સરકારની સૂચના મુજબ ખેડુતો પાસેથી વસૂલવામાં આવતી સેસની રકમ 50 પૈસાથી વધારી 70 પૈસા કરવામાં આવતાં, ખેડૂતોએ યાર્ડ સત્તાવાળાઓ સમક્ષ વિરોધ નોંધાવવામાં આવતાં યાર્ડ દ્વારા સેસ 60 પૈસા કરવામાં આવ્યો અને બાકીનો પચાસ ટકા બોજ વેપારીઓ પર નાંખી, વેપારીઓનું કમિશન 10 પૈસા ઘટાડવામાં આવતાં વેપારીઓ વિફર્યા છે. ત્રણ દિવસથી યાર્ડમાં ખરીદી બંધ છે. હજારો ખેડૂતો પરેશાન છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ક્યાંય ચિત્રમાં નથી !
આજે સવારે આમ આદમી પાર્ટીના કે.પી. બથવાર અને સ્થાનિક અગ્રણી દેવરાજ વૈષ્ણવ વગેરેએ આ મુદ્દે યાર્ડ ખાતે પહોચ્યા હતા અને યાર્ડ સતાવાળાઓને ખેડૂતોના હિતમાં ઘટતું કરવા માગ બુલંદ કરી હતી. વેપારીઓ ટસના મસ થવા તૈયાર નથી. તેઓને કમિશનમાં ઘટાડો કોઈ પણ રીતે મંજૂર નથી.
-યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે ?
વેપારીઓની આ હડતાળ સંબંધે Mysamachar.in સાથેની વાતચીતમાં યાર્ડનાં ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય રજિસ્ટ્રારની સૂચના મુજબ, સેસની રકમ વધારવામાં આવી છે. જો કે, એમાં પણ ખેડૂતોને રાહત આપવામાં આવી છે. આવકમાં આ ખોટ સરભર કરવા વેપારીઓને આપવાનું થતું કમિશન થોડું ઘટાડવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં અન્ય યાર્ડની સરખામણીએ કાલાવડમાં વેપારીઓને કઠોળ અને કપાસ જેવા ખેત ઉત્પાદનોમાં વધુ પ્રમાણમાં કમિશન અત્યાર સુધી આપવામાં આવતું હતું પરંતુ તાજેતરની સરકારની સેસ અંગેની નવી સૂચના પછી, વેપારીઓનાં કમિશનમાં એકદમ સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે છતાં વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, જેને કારણે યાર્ડમાં હાલ હરરાજી બંધ છે અને આજે બુધવારે બપોરે ત્રણેક વાગ્યે એક મહત્વની બેઠક યોજવામાં આવશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવશે.