Mysamachar.in-જામનગર:
જામનગરમાં અગાઉ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને રાજ્યનાં સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતાં IAS ટી. નટરાજનને ભારત સરકારનાં નાણાં વિભાગમાં નિયુક્તિ આપવામાં આવી છે. આ અગાઉ તેઓ ગુજરાત અને ભારત સરકારમાં વિવિધ 21 વિભાગોમાં જુદાં જુદાં પદો પર ફરજો બજાવી ચૂક્યા છે. તેઓ હાલમાં અમેરિકાથી પરત ફર્યા છે. જ્યાં તેઓ અમેરિકાનાં પાટનગર વોશિંગ્ટન DC ખાતે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) માં જોઈન્ટ કન્સલ્ટન્ટ તરીકે ફરજો બજાવતાં હતાં. તેઓને હવે ભારત સરકારનાં નાણાં મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે.
ટી.નટરાજન તામિલનાડુના વતની છે અને ગુજરાત કેડરમાં 1996 ની બેચનાં IAS છે. તેઓ ભૂતકાળમાં જામનગર તથા અમદાવાદમાં કલેકટર તરીકે ફરજો બજાવી ચૂક્યા છે. તેઓ રાજ્યનાં સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતાં IAS છે. તેઓ ખાણખનિજ ક્ષેત્ર તથા ફાઈનાન્સ અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ માસ્ટર ડિગ્રીઓ ધરાવે છે. આ ઉપરાંત તેઓ અર્થશાસ્ત્રમાં તેમજ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ જેવાં વિષયોમાં પણ માસ્ટર ડિગ્રીઓ ધરાવે છે. તેઓએ pH.D. પણ કરેલું છે. તેઓ ગુજરાત ચૂંટણી પંચનાં CEO પણ રહી ચૂકયા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ 252 આઈએએસ છે, જે પૈકી સૌથી વધુ ડિગ્રીઓ ટી. નટરાજન ધરાવે છે.