Mysamachar.in:જામનગર
જામનગર શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં કરોડો નાગરિકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. નેતાઓ ચૂંટણીઓમાં વ્યસ્ત છે. મોંઘવારી ઘટવાની આશાનું કિરણ ક્યાંય નજરે ચડતું નથી એવાં સમયે, આગામી પહેલી ઓક્ટોબરથી મોંઘવારીની આગમાં વધુ ઈંધણ નાંખવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. પહેલી ઓક્ટોબરથી અનાજ, સિમેન્ટ અને ખાતર સહિતની ચીજવસ્તુઓનાં ભાવોમાં વધારો નિશ્ચિત બનવા માટેનું કારણ પણ, સતાવાર રીતે જાહેર થઈ ચૂક્યું છે ! પહેલી ઓક્ટોબરથી રેલવેનું નૂર ભાડું વધી જશે. વધારાનો 15 સરચાર્જ અમલી બની રહ્યો છે. આ સરચાર્જ વ્યસ્ત સિઝનમાં લેવામાં આવતો સરચાર્જ છે.
જે નિયમ પ્રમાણે, ખાતર -અનાજ અને સિમેન્ટ સહિતની ચીજવસ્તુઓનાં રેલ્વે ટ્રાન્સપોર્ટ પર વસૂલવામાં આવશે. આ સરચાર્જ જો કે, ઓટોમોબાઇલ ઉધોગનાં ઉત્પાદનોની હેરફેર નહીં લાગે. પરંતુ ખાદ્યાન્ન અને સિમેન્ટ તથા ખાતર પરનો આ સરચાર્જ ખાદ્ય પદાર્થોની કિંમતો તથા બાંધકામ ઉદ્યોગમાં જોરદાર અસરો કરશે. કેમ કે, સામાન્ય રીતે આ પ્રકારની ચીજવસ્તુઓનું રેલ્વે ટ્રાન્સપોર્ટેશન લાંબા અંતર માટે હોય છે તેથી આમેય તોતિંગ નૂરભાડા હોય જ છે અને તેમાં આ 15 ટકા સરચાર્જ ને કારણે ભાડામાં મોટો વધારો નોંધાશે, આ વધારાનો બોજ પણ અંતે તો ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. આમ થતાં, મોંઘવારી વધુ ભડકશે. અત્રે એ પણ નોંધનીય છે કે, અગાઉનાં વર્ષોમાં સરચાર્જનો દર 12 ટકા હતો તે ત્રણ વર્ષ પહેલાં રેલવેએ 15 ટકા કર્યો હતો. આ પ્રકારના દરવધારા મોંઘવારી ભડકાવવા પાછળ જવાબદાર હોય છે.