Mysamachar.in:જામનગર
જામનગર સહિત દરેક મોટાં શહેરોમાં સેંકડો કિલોમીટર લાંબી ગટર લાઈન હોય છે અને આ ઉપરાંત સમગ્ર શહેરની ગટરોનું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ હોય છે. આ શુદ્ધ કરવામાં આવતું પાણી ઉદ્યોગોમાં વપરાશ માટે ઉપયોગી બનતું હોય છે. હવે આ આખી વ્યવસ્થાનું મેપિંગ અને મોનિટરીંગ આધુનિક પદ્ધતિએ થશે.
રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા GIS (geographical information system) આધારિત મેપિંગ અને મોનિટરીંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અર્બન ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત થશે. આ સિસ્ટમ રાજયની જામનગર સહિતની મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં STP તથા ડ્રેનેજ લાઇનનું GIS મેપિંગ અને મોનિટરીંગ કરશે. PM ગતિશક્તિ પ્રોગ્રામના ભાગરુપે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર દેખરેખ રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી પ્લાનિંગ અને અમલીકરણને વેગ મળશે તથા આધુનિક પદ્ધતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મોનિટરીંગ થઈ શકશે.
શહેરી વિકાસ વિભાગના એક અધિકારી કહે છે: સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસને વધુ કાર્યક્ષમ બનાવવા તથા ટ્રીટમેન્ટ પામેલા લિક્વિડ વેસ્ટનો વધુ અસરકારક રીતે પુનઃઉપયોગ કરવા માટે સરકારે આ સિસ્ટમ અમલમાં મૂકવા નિર્ણય લીધો છે. આગામી મહિનાઓમાં સમગ્ર રાજયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ STP અને બધાં શહેરોની ડ્રેનેજ લાઇનનું મેપિંગ થશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, શહેરી વિકાસ વિભાગ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગ આ સમગ્ર સિસ્ટમના અમલીકરણ માટેની મુખ્ય એજન્સીઓ તરીકે કામ કરશે. આ સિસ્ટમથી એ પણ ખ્યાલ આવી જશે કે કયા શહેરમાં કેટલી ડ્રેનેજ લાઇન વધારવી પડશે ? STPની ક્ષમતામાં કેટલો વધારો કરવો પડશે ?
તાજેતરમાં સુપ્રિમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશ મુજબ, ગુજરાતના મુખ્ય સચિવના વડપણ હેઠળ સ્ટેટ લેવલની મોનિટરીંગ કમિટીની પાંચમી બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવેલી. જેમાં આ ચર્ચાઓ થઈ હતી. જેમાં વિવિધ દરખાસ્ત પર ચર્ચાઓ થઈ હતી. એક દરખાસ્ત એ પણ હતી કે, શહેરોની આવક વધારવા માટે ટ્રીટમેન્ટ આપવામાં આવેલા પાણીને ઉદ્યોગને વેચીને આવક ઉભી કરવામાં આવે.
-જામનગરમાં હાલની સ્થિતિ આમ છે…
જામનગરમાં ગટરોના ગંદા પાણીને તથા વરસાદના એકત્રિત થયેલા પાણીને ટ્રીટમેન્ટ આપી શુદ્ધ કરવા માટેનો સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શહેરના ગાંધીનગર વિસ્તાર પાછળ કાર્યરત છે. જેને ચલાવવા કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરે છે ! આ રીતે શુદ્ધ કરેલું પાણી દરિયામાં ફેંકી દેવામાં આવે છે ! કારણ કે આ પાણી ઉદ્યોગો સુધી (રિલાયન્સ અને એસ્સાર) પહોંચાડવા પાઈપલાઈન પાથરવામાં જ નથી આવી ! જેને પરિણામે કરદાતા નગરજનોનું મૂલ્યવાન નાણું પાણીમાં વહી રહ્યું છે ! ટૂંકમાં કોર્પોરેશન અને રાજય સરકાર વર્ષોથી આ વિષયમાં ગંભીર નથી ! જેને કારણે જામનગર મહાનગરપાલિકાને આ આવક મેળવવી તો દૂર રહી, દર વર્ષે કરોડો રૂપિયા ફૂંકાઈ રહ્યા છે !