Mysamachar.in-જામનગર:
જામનગરમાં આજે મંગળવારે સવારે દિલ્હીથી આવેલી વન અને પર્યાવરણ વિભાગની ટીમે શહેરનાં ગાંધીનગર વિસ્તાર નજીક આવેલા સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને પાણી પુરવઠા તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જરૂરી, તાકીદની સૂચનાઓ આપી હતી. આ મુલાકાત વેળાએ મ્યુ. કમિશ્નર તથા ડેપ્યુટી કમિશનર વગેરે પણ હાજર રહ્યા હતાં. ગાંધીનગર વિસ્તારમાં કોર્પોરેશનનો સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે જેની દૈનિક કેપેસિટી 70 MLD ગંદુ પાણી શુદ્ધ કરવાની છે.
આજે મંગળવારે સવારે દિલ્હીની ટીમે આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ ટીમમાં વન-પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થતો હતો. વિભાગનાં સેક્રેટરી લીના નંદન, રાજ્યનાં વનવિભાગનાં વડા એસ.કે. ચતુર્વેદી, જૂનાગઢ તથા જામનગર જિલ્લાનાં વનવિભાગનાં અધિકારીઓ કે. રમેશ, સેન્થિલ કુમારન, ધનપાલ તથા નિશ્ચલ જોષી ઉપરાંત મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, પાણી પુરવઠા તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કમિશનરે ટીમને જરૂરી માહિતીઓ આપી હતી.
સેક્રેટરી લીના નંદન દ્વારા જામનગર જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્લાન્ટમાં જે ગંદુ પાણી ટ્રીટેડ થાય છે તેનાં પુન:વપરાશની વ્યવસ્થા ઝડપથી શરૂ કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપીને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે તેનું સારી રીતે મોનિટરીંગ કરવા અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને તાકીદ કરી સૂચનાઓ આપી હતી. કોર્પોરેશનનાં ઇન્ચાર્જ નાયબ કમિશ્નર ભાવેશ જાનીએ આ મુલાકાત અંગેની આ તમામ વિગતો સ્થાનિક મીડિયા સાથે શેયર કરી હતી.