Mysamachar.in-જામનગર:
સરકારમાં અને લોકોમાં ભ્રષ્ટાચારના મુદ્દાની ચર્ચાઓ હંમેશા રસનો વિષય રહે છે, એમાંયે તહેવારો ટાણે લાગતાં વળગતાંઓને આપવામાં આવતી ગિફ્ટ અંગે વધુ ચર્ચાઓ થતી રહેતી હોય છે. ગિફ્ટ ઘણાં કિસ્સાઓમાં રોકડ સ્વરુપે પણ હોય છે, પરંતુ આ વર્ષે લાંચ રૂશવત વિરોધી શાખા ગિફ્ટની લેતીદેતી મુદ્દે વધુ એલર્ટ હોવાનું સૂત્ર જણાવે છે.
થોડાં દિવસ અગાઉ રાજયની લાંચ રૂશવત વિરોધી શાખાના ડાયરેક્ટરનો હવાલો અનુપમસિંહ ગેહલોત પાસેથી લઈને સમશેરસિંગને સોંપવામાં આવ્યો છે. તેઓ ACBને વધુ કાર્યક્ષમ બનાવવાના મૂડમાં હોવાનું સમજાઈ રહ્યું છે. તેઓએ પોતાના સમગ્ર વિભાગને સરકારી કચેરીઓ મારફતે થતી ગિફટની લેતીદેતી પર વિશેષ વોચ રાખવા કહ્યું હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. આ ઉપરાંત પોલીસ અને મહેસૂલ સહિતના સરકારી વિભાગોમાં લાંચના દૂષણને નોંધપાત્ર પ્રમાણમાં અંકુશમાં રાખવા લાંચ રૂશવત વિરોધી શાખાના રાજયના દરેક યુનિટને વોચ વધુ ફોક્સડ બનાવવા કહ્યું હોવાનું જાણવા મળે છે.
કાલે સપ્તાહના પ્રથમ જ દિવસે જાહેર થયું કે, જામનગર શહેરની ખોડિયાર કોલોની પોલીસચોકીના એક હેડ કોન્સ્ટેબલ વતી લાંચની રકમ સ્વીકારનાર હોમગાર્ડનો એક કર્મચારી રંગેહાથ ઝડપાઈ જતાં જામનગર પોલીસબેડામાં ચકચાર જાગી છે. જો કે આ હેડ કોન્સ્ટેબલ હજુ હાથમાં આવ્યો નથી, ફરાર છે. આ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જે ફોટાઓ વાયરલ થયા છે તેના પરથી જણાઈ રહ્યું છે કે, આ બંને વૈભવી લાઈફ સ્ટાઈલ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મોટાભાગની સરકારી કચેરીઓમાં દીવાળી જેવા તહેવારોમાં ગિફટના સ્વરૂપમાં લાંચની લેતીદેતી થતી હોવાની ચર્ચાઓ સમયાંતરે ઉઠતી જ હોય છે. આ મુદ્દો ધ્યાનમાં રાખીને ACBને ઉપરથી સૂચનાઓ આપી દેવામાં આવી છે કે, સરકારી- અર્ધ સરકારી તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચોક્કસ કચેરીઓમાં થતી ગિફટની લેતીદેતી પર ખાસ વોચ રાખવામાં આવે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, મોટાભાગના કોન્ટ્રાક્ટર સહિતના લાગતાં વળગતાંઓ સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને તહેવારો નિમિતે ગિફ્ટ પહોંચાડતા હોવાની ચર્ચાઓ દર દીવાળીએ ઉઠતી હોય છે, આ વર્ષે આ સંભવિત લેતીદેતીઓ પર તંત્રની વિશેષ નજર હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે. સંભવ છે કે, આ વર્ષે ઘણાં લાગતાં વળગતાંઓની દીવાળી ગિફ્ટ બાબતે બગડી જાય એવું પણ બની શકે. ભ્રષ્ટાચાર શિષ્ટચાર બની ચૂકયો હોય આ પ્રકારની લેતીદેતીઓ વધુ પ્રમાણમાં થતી હોવાનું અને એ માટે કોઈને શંકા ન જાય તે પ્રકારના વિકલ્પો અજમાવવામાં આવી રહ્યા હોવાનું પણ સૂત્ર જણાવે છે.