Mysamachar.in-જામનગરઃ
તારીખ સાથે જ્યોતિષશાસ્ત્રનો સંબંધ વર્ષો જૂનો છે. તારીખ અને વારના સંયોગના આધારે રાશિ ભવિષ્ય જોવામાં આવે છે, ખગોળીય ઘટનાથી લઇને તારીખ-વારના અનોખા સંયોગની મનુષ્યના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર વર્તાય છે એવું જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે. આવો જ એક અનોખો યોગ આ ચાલુ મહિનામાં જોવા મળ્યો છે. આ મહિનામાં પાંચ-પાંચ સોમવાર, મંગળવાર અને રવિવાર આવે છે. તમે એમ વિચારી રહ્યા છો કે આ મહિને પાંચ રવિવાર એટલે વધુ રજા આવશે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર આ સંયોગને નવા-જૂનીના એંધાણ હોવાનું કહી રહ્યું છે. આ મહિનામાં 1, 8, 15, 22, 29 ના રોજ પણ રવિવાર રહેશે. આ ક્રમમાં 2,9,16,23,30 તારીખે સોમવાર આવશે. એ જ રીતે 3,10,17,24 અને 31 તારીખે મંગળવાર આવે છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે પાંચ સોમવાર આવવાના સંયોગથી મોંઘવારી અને વાતાવરણને લઇને ફેરફારો આવી શકે છે. એટલે કે વાવાઝોડું, હિમવર્ષા તથા લોકોમાં માનસિક તણાવની બીમારી વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. પાંચ મંગળવાર હોવાના સંયોગથી કોઇ મોટી દુર્ઘટના સર્જાવાના યોગ બની રહ્યાં છે. 5 રવિવારો હોવાનો સીધો અણસાર એવો છે કે આ મહિનામાં કોઇ મોટી રાજકીય ઘટના ઘટી શકે છે. એટલે કે રાજકીય રીતે કોઇ મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.