Mysamachar.in: ગુજરાત
કોરોના વેકસીન મામલો લાંબા સમય બાદ વધુ એક વખત, ભારતમાં બરાબર લોકસભા ચૂંટણીઓ ટાણે સમાચારોમાં છવાઈ જવાનો પ્રારંભ થયો છે. જો કે આ સમાચાર બ્રિટિશ અદાલતની એક કાર્યવાહીને કારણે ભારતમાં પણ ચર્ચાઓમાં આવ્યા છે. રાજકીય લડાઈ પણ વેકસીન મુદ્દે લડવાની શરૂઆત થઈ ગઈ. વેકસીન ચૂંટણી પ્રચારમાં મુદ્દો બની.
ભારતમાં કરોડો લોકોને કોરોનાકાળ દરમ્યાન કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવેલી. અને, છેલ્લા કેટલાંક સમયથી જામનગર ગુજરાત સહિત દેશભરમાં ઘણાં લોકોના મોત નાની ઉંમરે પણ હાર્ટએટેક અને બ્રેઈન સ્ટ્રોક તથા લોહી ગંઠાઈ જવા જેવા કારણોસર થઈ રહ્યા છે તેથી ઘણાં સમયથી વેકસીન મામલો ગાજતો હતો જ, એવામાં આ રસી બનાવનાર કંપનીએ બ્રિટિશ અદાલતમાં સ્વીકાર કર્યો કે, અમુક કેસમાં વેકસીનની આડ અસરને કારણે માનવ શરીરમાં લોહી ગંઠાઈ જવા જેવી બાબતો જોવા મળી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં એક ડઝન લોકોએ આ વેકસીન બનાવનાર કંપની વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યા છે અને વેકસીનને કારણે થયેલાં નુકસાન બદલ વળતરની માંગ કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન કંપનીએ ઉપરોકત વાતનો રેકર્ડ પર સ્વીકાર કરતાં સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે કેમ કે ભારત સહિત વિશ્વમાં કરોડો લોકોએ આ વેકસીનના ડોઝ લીધાં છે.
કંપનીના આ નિવેદન અને બ્રિટિશ અદાલતની કાર્યવાહીઓને આધાર બનાવીને ભારતમાં પણ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. આ અરજીમાં કહેવાયું છે કે, આ કોવિશિલ્ડ વેકસીનની ગંભીર આડ અસરોની ચકાસણીઓ માટે કેન્દ્ર સરકાર નિષ્ણાંત તબીબોની સમિતિનું ગઠન કરે એવો નિર્દેેશ સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવે.આ ઉપરાંત આ અરજીમાં એમ પણ કહેવાયું છે કે, ભારતમાં જે નાગરિકોને વેકસીનની આડ અસરને કારણે નુકસાન સહન કરવું પડ્યું હોય તેવા નાગરિકોને આ નુકસાન બદલ વળતર આપવા માટે કેન્દ્ર સરકાર નવી પ્રણાલીની રચના કરે અને આવા કિસ્સાઓમાં વળતર અપાવે, એ પ્રકારનો નિર્દેશ સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવે.
આ ઉપરાંત અન્ય એક સમાચાર એ છે કે, ગત્ મંગળવારે કેન્દ્ર સરકારે કોવિડ વેકસીન લીધાંનું જે પ્રમાણપત્ર લોકોને આપવામાં આવી રહ્યું છે તે સર્ટિફિકેટમાંથી સરકારે વડાપ્રધાનની તસવીર હટાવી દીધી છે. સરકારે આ તસવીર હટાવવા સંબંધે મીડિયાને એમ કહ્યું છે કે, ચૂંટણીઓની આચાર સંહિતાને કારણે આમ કરવામાં આવ્યું છે. ( અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી આચાર સંહિતા ગત્ 16 માર્ચથી લાગુ પડી ગઈ છે, ત્યારબાદ મતદાનના બે તબક્કા પણ પૂર્ણ થઈ ગયા છે).
દરમિયાન, ચૂંટણીઓના પડઘમમાં પણ વેકસીન ગાજી. વિપક્ષ કહે છે: કોવિડ રસીથી જે મોત થયા તેમના વારસદારોને વળતરના નાણાં ચૂકવો. સરકારે WHOની ગાઈડલાઈન છતાં ડેટા કલેકટ કર્યો નથી. બીજી તરફ શાસકપક્ષ એમ કહે છે: લાઈફ સ્ટાઈલને કારણે હાર્ટએટેકના બનાવો બની રહ્યા છે, વેકસીનના કારણે નહીં. આમ, વેકસીનની આડ અસર અને મોત તથા વળતર જેવી બાબતો ચૂંટણીઓમાં પણ મુદ્દાઓ બની ગઈ છે.