Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં એવી પરંપરા છે કે, જમવા બેસતાં પહેલાં ઘણાં પરિવારોમાં ગાય-કૂતરા માટે થોડી માત્રામાં રોટલી-રોટલા સહિતનો ખોરાક ગૌ-ગરાસ તરીકે અલગ કાઢી લેવામાં આવે છે. પરંપરા ઘણી જ ઉમદા છે, પરંતુ સાથેસાથે આપણે સૌ અનુભવીએ છીએ કે જામનગર સહિત રાજ્યભરમાં કૂતરાઓનો ભયાનક ત્રાસ પણ છે.
જામનગર સહિતના શહેરોમાં દરેક શેરી ગલીઓમાં કૂતરાંઓ મોટી સંખ્યામાં રખડતાં હોય છે. આ કૂતરાંઓ અંદરોઅંદર દિનરાત લડતાં રહેતાં હોય છે. ભસતા હોય છે. કર્કશ અવાજે રૂદન કરતાં હોય છે. બાળકો, મહિલાઓ ઉપરાંત રાહદારીઓને ભસતાં, કરડતાં હોય છે. પાછળ દોડતાં હોય છે. વાહનચાલકોને પરેશાન કરતાં હોય છે. ઘરોમાં ઘૂસી જતાં હોય છે. નાનાં બાળકોને તથા મહિલાઓને કરડી લેતાં હોય છે. બાળકો તથા મહિલાઓ આ કૂતરાંઓના ભયાનક ત્રાસથી ફફડતા હોય છે. કૂતરાંઓને ખવડાવવા તથા મારવા કે ખદેડવા મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતાં હોય છે. આવાં ઝઘડા ઘણાં કિસ્સાઓમાં મોટું સ્વરૂપ પણ ધારણ કરી લેતાં હોય છે ! ટૂંકમાં, કૂતરાઓનો ત્રાસ કોઈ પણ અર્થમાં સહન ન કરી શકાય તેવો ભયાનક ત્રાસ છે. રાજ્યનાં લાખો લોકો આ ત્રાસથી કંટાળી ગયા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સ્થાનિક સત્તાવાળાઓ જાણે કે, કૂતરાઓનો ત્રાસ જ નથી – એવી રીતે વર્તે છે ! તેઓને શહેરીજનોની કોઈ જ ચિંતા નથી !
જામનગર મહાનગરપાલિકા સહિત ઘણાં સત્તાવાળાઓ એમ પણ કહે છે: સુપ્રિમ કોર્ટ દ્વારા કૂતરાંઓને પકડવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધ હોય એટલે શું સમસ્યા અંગે આંખ આડા કાન કરવાનાં ?! નગરજનોની સુખાકારી અને સલામતીનું શું ?! એ જવાબદારી કોની ?! નગરજનો મહત્વનાં કે કૂતરાં પકડવા પરનો પ્રતિબંધ મહત્વનો ?! વચલો રસ્તો તો શોધી શકાય ને ?!જામનગરની જ વાત કરીએ તો, થોડાં મહિનાઓ પૂર્વે એક NGO એ શહેરમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ મુદ્દે ઝુંબેશ શરૂ કરેલી જેનાં સારાં પરિણામો પણ મળી રહ્યા હતાં. પરંતુ પછી અચાનક ઝુંબેશ બંધ !!! અને, મહાનગરપાલિકા આ મુદ્દે સંપૂર્ણ મૌન !! શા માટે ?!
સુરતમાં કાલે મંગળવારે એક વિસ્તારમાં આઠ વર્ષનાં એક બાળકને છે કૂતરાઓએ ફાડી ખાધો ! આ બાળકનું ઈજાઓને કારણે મોત થયું, સમગ્ર વિસ્તારમાં ઘેરો શોક અને અરેરાટી વ્યાપી ગઇ. કૂતરાઓના ભયાનક ત્રાસ અંગે સત્તાવાળાઓ આટલી હદે ઉદાસીન બની જાય અને નગરજનો ભોગ બનતાં રહે ! એ ન ચાલે. સત્તાવાળાઓએ શકય તમામ ઉપાયો અજમાવવા જોઈએ, નગરજનોની લાગણી આ છે. અને તંત્રની ઉદાસીનતા પ્રત્યે લોકોમાં રોષ અને નારાજગી પણ છે. કાલે મંગળવારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પણ વિપક્ષે રખડતાં ઢોર અને કૂતરાઓના ત્રાસનો મુદ્દો નગરજનો વતી ઉઠાવ્યો હતો પરંતુ શાસકો આવી સમસ્યાઓ પ્રત્યે ગંભીર ન બને ત્યાં સુધી બધું જ નકામું છે.