My samachar in જામનગર
જામનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મતદાન સહિતની વિગતો ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સંસદીય મતવિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી અને જામનગર કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તા.01-04-2024 સુધીમાં જામનગર જિલ્લામાં 12,17,706 મતદારો અને દ્વારકા જિલ્લામાં 6,00,158 મતદારો નોંધાયેલા છે, તેઓ મતદાન કરી શકે છે. આજે મંગળવારે સવારે સાત વાગ્યાથી બંને જિલ્લાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. મહાનુભાવો અને મતદારો પોતપોતાના મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફ તથા બંદોબસ્ત સ્ટાફ પોતાની ફરજો બજાવી રહ્યો છે.
તંત્રએ વધુમાં જાહેર કર્યું છે કે, જામનગર જિલ્લામાં 30,448 મતદારો એવા છે જેઓ યુવા છે અને પ્રથમ વખત મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આ પ્રકારના મતદારોની સંખ્યા 14,732 છે. સમગ્ર સંસદીય મતવિસ્તારમાં 1,881 મતદાન મથક છે, જે પૈકી જામનગર જિલ્લામાં 1,247 મથકો છે, તેમાંથી 304 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
આજે મંગળવારે સવારે સાત વાગ્યાથી સમગ્ર સંસદીય મતવિસ્તારમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. કયાંય, કોઈ અનિચ્છનીય બનાવ બન્યાનું જાણવા મળેલ નથી. બધે જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદાન મથકોમાં મતદારોની જ્યાં લાઈન હોય છે ત્યાં પંખાની કોઈ વ્યવસ્થા ન હોય, મતદારો ઋતુ મુજબની ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.
જામનગરમાં મહિલા કોલેજમાં આવેલાં મતદાન મથકને આદર્શ મતદાન મથક જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં રામસર સાઈટનો દરજજો ધરાવતાં ખીજડીયા પક્ષી અભયારણ્યની થીમ પર મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જામનગર ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મતદાનના પ્રથમ બે કલાક એટલે કે સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન, જામનગર લોકસભા બેઠક ( 7 વિધાનસભા મતવિસ્તાર) પર 8.55 ટકા મતદાન નોંધાયું છે.
કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં આ બે કલાક દરમિયાન 11.86 ટકા મતદાન, જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં 9.60 ટકા મતદાન, જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 8.12 ટકા, જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં 7.49 ટકા, જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં 9.74 ટકા, ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 7.75 ટકા અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 6.17 ટકા મતદાન નોંધાયું છે.