Mysamachar.in-જામનગર:
જળચર જિવોની મજબૂરી એ છે કે, કુદરતી અથવા કૃત્રિમ કારણોસર જ્યારે પણ પાણી પ્રદૂષિત બને છે અથવા પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ત્યારે હજારો જળચર જિવો એકસામટા મોતને ભેટે છે. જામનગર નજીક દરેડ-ચેલા ગામો વચ્ચે આવું બન્યું છે, એક ઉદ્યોગના પાપે હજારો માછલાં સહિતના જળચર જિવો મોતને શરણ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મંગળવારે સવારે એવું જાહેર થયું કે, દરેડ ગામના ગોદડીયાવાસથી થોડે આગળ નદીના બંધિયાર પાણીમાં હજારો માછલાં મૃત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ અંગે જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની કચેરીના પ્રાદેશિક અધિકારી કલ્પના પરમારની ટીમ નિરીક્ષણ માટે બનાવના સ્થળે પહોંચી હતી. આ ટીમમાં પર્યાવરણ ઈજનેર કૃણાલ તન્ના સહિતના અધિકારીઓનો સમાવેશ થતો હતો.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, અહીં આસપાસમાં કોઈ ઉદ્યોગ ન હોવા છતાં રહેણાંકોવાળા આ વિસ્તારમાં આ ઘટના જોવા મળી હતી. ત્યારબાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પરથી પાણીના નમૂનાઓ લઈ, સઘન તપાસ આરંભી. આ ટીમ છેક રંગમતી ડેમ પહોંચી હતી. ડેમ નજીકના વિસ્તારમાં નદીમાં માછલાંઓ જિવિત હતાં. બાદમાં આ ટીમે નદીના કિનારે કિનારે પગે ચાલી સમગ્ર વિસ્તારનું ભૌગોલિક નિરીક્ષણ કર્યું.
આ સઘન તપાસમાં જાણમાં આવ્યું કે, દરેડ અને ચેલા વચ્ચે એક સ્થળે શિવમ કોર્પોરેશન નામનું યુનિટ છે, જે ભરડિયો છે. તેના પાછળના ભાગમાં એક બ્રાસ યુનિટ છે. આ યુનિટ ગેરકાયદેસર ધમધમતું હોવાનું પણ બહાર આવ્યું. આ બ્રાસ યુનિટ મેટલ અને જોખમી, ઝેરી તત્વો ધરાવતો પોતાના યુનિટનો કાળો અને ઘટ્ટ પ્રવાહી કદડો નદીમાં ઠાલવે છે, એવું ટીમની તપાસમાં બહાર આવ્યું. આ કદડો ઉર્ફે સ્લેગ એસિડનું ઉંચુ પ્રમાણ ધરાવતો હોવાનું જાણમાં આવ્યું. આ યુનિટ પછીના વિસ્તારમાં નદીમાં હજારો મૃત માછલાંઓ જોવા મળે છે એવું આ ટીમની તપાસમાં બહાર આવ્યું.
ટીમના વડા કલ્પના પરમારે જાહેર કર્યું છે કે, આ યુનિટ નજીકથી નમૂનાઓ લેવામાં આવ્યા છે, નદીના પાણીના પણ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ યુનિટ મંજૂરી વિના ધમધમી રહ્યું છે તેની પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે અને લેવામાં આવેલાં નમૂનાઓનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રાથમિક રિપોર્ટ વડી કચેરીને પણ મોકલવામાં આવ્યો છે. અને વધુ પરીક્ષણ પછીનો રિપોર્ટ પણ વડી કચેરીને મોકલવામાં આવશે અને ત્યાંથી જે સૂચનાઓ આવશે તે મુજબ, કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.
-કદડો, ઝેર, જોખમ અને પર્યાવરણીય નુકસાન, વરસોથી અવિરત…..
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને દરેડ આસપાસ આવેલાં બ્રાસના ઉદ્યોગનગરો વર્ષોથી હવા,પાણી અને જમીન પર ભયાનક પ્રદૂષણ પાથરે છે- એ મુદ્દો કોઈથી પણ અજાણ નથી. અચરજની વાત એ છે કે, આ ભયંકર પ્રદૂષણ નાથવા ઉદ્યોગકારો સહિત કોઈ પણ કક્ષાએથી ક્યારેય, કોઈ ગંભીર પ્રયાસો થયા નથી, જેને કારણે જામનગરના લાખો લોકો આ પ્રદૂષણથી નીપજતી યાતનાઓ ભોગવી રહ્યા છે !! સમગ્ર વિશ્વમાં બ્રાસ સિટી તરીકે ઓળખ ધરાવતા આ શહેરમાં ઉદ્યોગોના ઝેરી અને જોખમી ઘન તથા પ્રવાહી કચરાના નિકાલ માટે આટલાં દાયકાઓમાં એક કોમન પ્લાન્ટ બનાવી શકાયો નથી !! કોની કોની નિયતમાં ખોટ છે, એ સમજી શકાય તેવી વાત છે.