Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે, ચૂંટણી કોઈ પણ હોય – ખર્ચ તોતિંગ થતો હોય છે. જો કે, ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણી ખર્ચ પર મર્યાદા હોય છે. હિસાબો પણ નિયમિત રીતે તંત્રએ ચકાસવાના હોય છે. પરંતુ ચૂંટણી એક મોટો પ્રસંગ હોય સૌ કોઈ સારો એવો ખર્ચ કરતાં હોય છે તેથી ખર્ચ પર નિયંત્રણ માટે પંચે રોકડની હેરફેર પર મર્યાદા લાદી હોય છે.
ગુજરાત ચૂંટણી પંચના નિયમો મુજબ, ચૂંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ ( ઉમેદવાર અથવા પક્ષ) રૂ.50,000 થી વધુની રોકડ રકમની હેરફેર કરી શકે નહીં. અને, જો કોઈ વ્યક્તિ આવી હેરફેર કરતી ઝડપાઈ જાય તો તે વ્યક્તિએ આ રકમ અંગે સંતોષકારક ખુલાસો અને પુરાવાઓ રજૂ કરવા ફરજીયાત હોય છે. ચૂંટણીમાં રોકાયેલા ન હોય તેવાં અન્ય કોઈ ધંધાર્થીઓ સહિતના લોકો મર્યાદા કરતાં વધુ રકમ સાથે ઝડપાઈ જાય ત્યારે તેઓએ પણ રોકડ રકમની હેરફેર અંગે ખુલાસો આપવો પડશે.
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી (કલેકટર) નાં માર્ગદર્શન હેઠળ આ કામગીરી અને કાર્યવાહી માટે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ ત્રણ ફલાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. અને આ તમામ સ્ક્વોડના મુખ્ય અધિકારીઓ તરીકે સંબંધિત વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક મામલતદાર, ખેતી વિસ્તરણ અધિકારી, ઈજનેરો તથા તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓની ટીમમાં લેડીઝ અને જેન્ટ્સ પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.