Mysamachar.in:જામનગર
ખર્ચ બચાવવાનાં રસ્તાઓ શોધવામાં અને એ રીતે ગામનાં પૈસે તાગડધિન્ના કરી, કરકસર કરવામાં ઘણાં લોકો નિષ્ણાંત હોય છે. જામનગરની બેડેશ્વર વીજકચેરીનાં એક કર્મચારી આ પ્રકારની કરકસર કરવામાં માહિર હોવાનું એક રજૂઆત પરથી જાણવા મળે છે. જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતાં સામાજિક કાર્યકર અનવર સંઘારએ વીજતંત્ર સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત કહે છે કે, બેડેશ્વર વીજકચેરીનાં એક કર્મચારી વીજચોરી કરી રહ્યા છે. જો કે વીજચોરીની આ ટેકનિક રૂટિન પ્રથાથી કાંઈક અલગ છે ! બેડેશ્વર વીજકચેરીનાં વીજપૂરવઠાનો દુરૂપયોગ કરીને એક કર્મચારી પોતાનું ઇલેક્ટ્રિક વાહન આ વીજકચેરીમાં ચાર્જ કરે છે ! આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, આ ટુ વ્હીલર વાહનનાં નંબર જીજે-10-ડીએમ-0996 છે. આ વાહન આ કચેરીમાં વારંવાર ચાર્જમાં મૂકેલું જોવા મળે છે !
કોઈ સરકારી કર્મચારી પોતાનું ખાનગી વાહન આ રીતે સરકારી કચેરીમાં ચાર્જ કરી શકે ?! સરકારી કચેરી તો પ્રજાનાં નાણાંથી ચાલતી હોય છે. આ મામલો વીજચોરીનો છે ? એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. આ મામલો સરકારી મિલ્કતનો ગેરઉપયોગ કહી શકાય કે કેમ ? તે પ્રશ્ન પણ રજૂઆતમાં પૂછાયો છે. બધાં સરકારી કર્મચારીઓ આ રીતે પોતાનાં ઇલેક્ટ્રિક વાહન સરકારી કચેરીઓમાં ચાર્જ કરે તો તે બાબત ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ન કહેવાય ? શું આ વીજચોરી નથી ? એવો પ્રશ્ન પણ આ સામાજિક કાર્યકરે આ રજૂઆતમાં ઉઠાવ્યો છે. આ રજૂઆતમાં અંતમાં જણાવાયું છે કે, આ કર્મચારી સામે પગલાં લેવામાં આવે. તેને દંડ કરવામાં આવે. સરકારી કચેરીનાં વીજપૂરવઠાનાં વપરાશના નાણાં આ કર્મચારી પાસેથી વસૂલવામાં આવે. અને, આ કર્મચારી સામે જે કાર્યવાહી કરવામાં આવે તેની જાણ આ અરજદારને કરવામાં આવે, એવી માંગણી વીજ સત્તાવાળાઓ સમક્ષ થઈ છે.