Mysamachar.in:જામનગર:
જામનગર દરિયાઈ સરહદે પાકિસ્તાનથી સાવ નજીક, જામનગર અને પાકિસ્તાન બંને જગ્યાએ સંપર્કો ધરાવતાં લોકોની મોટી સંખ્યા અને જામનગર સૈન્યની ત્રણેય પાંખ ધરાવતું અતિ સંવેદનશીલ મથક- આ ત્રણેય બાબતો અત્યંત ગંભીર હોવા છતાં, જામનગરના આ પ્રકારના તત્વો પર કોઈની વોચ ન હોય એમ, જામનગરથી આ પ્રકારના તત્વો એક કરતાં વધુ વખત ઝડપાઈ ગયાના દાખલા બનતાં રહે, એ અતિ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો નથી ?! છે જ.
જામનગર અને દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને જમીન પણ દેશદ્રોહી તત્વો નાપાક હરકતો માટે ઉપયોગમાં લઈ રહ્યા છે, એવું ઘણાં કિસ્સાઓમાં સામે આવ્યું છે. ધારો કે આ પ્રકારના જે તત્વો પકડાતાં નથી, તેઓની પ્રવૃતિઓ શું છે ? તે અંગે ગુપ્તચર તંત્રો અને પોલીસને કશી ખબર હોય છે કે કેમ ? એ પ્રશ્ન અતિ ગંભીર લેખાવી શકાય.
ગુજરાત ATS દ્વારા હાલમાં જામનગરના એક શખ્સને ઉઠાવી લેવામાં આવ્યો છે. આ શખ્સ પાકિસ્તાની સૈન્ય અથવા પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા ISI સાથે સંકળાયેલો હોય શકે છે- એવું ખુદ સરકાર સ્વીકારી ચૂકી છે. આ શખ્સ ઘણાં સમયથી જામનગર રહે છે, જામનગર અવરજવર પણ કરે છે. તેના અન્ય સંપર્ક કોણ ? આ શખ્સની અત્યાર સુધીની ગતિવિધિઓ શું ? વગેરે પ્રશ્નોના જવાબ મળવા જરૂરી લેખાવી શકાય.
આ શખ્સનું નામ મોહમ્મદ સકલૈન ઉમર દાઉદ(22) છે.આ પ્રકરણની તપાસ દરમિયાન અન્ય એક શખ્સ કિશોર ઉર્ફે સવાઈ જગદીશકુમાર રામવાણી પર સરકારે સ્કેનર રાખેલું. દરમિયાન જાણવા મળેલ કે, કિશોર અને મોહમ્મદ વચ્ચે વોટ્સએપ કોલનો વ્યવહાર હતો. મોહમ્મદ ઘણી વખત કિશોરને આ કોલ કરતો. હાલમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે, તે દરમિયાન કોઈ સ્લીપર સેલ એક્ટીવ છે કે કેમ ? આ મુદ્દાની તપાસ પણ થઈ રહી છે.
ATS સોર્સને ટાંકીને કહેવાયું છે કે, જામનગરના અસગર મોદી દ્વારા એક સીમકાર્ડની ખરીદી થયેલી. અસગરે આ કાર્ડ પોતાના મોબાઈલ પર એક્ટિવ કરેલું. બાદમાં તેણે OTP મેળવી આ ફોન પર વોટ્સએપ કોલિંગ સુવિધા મેળવી. અસગર આણંદ જિલ્લાના તારાપુરના લાભશંકર મહેશ્વરી સાથે સંપર્કમાં હતો. લાભશંકરના કહેવાથી અસગરે આ ફોન કિશોરને આપી દીધો. કિશોર પાકિસ્તાનમાં રહે છે. કિશોરની બહેન સુશીલા ભારતમાં રહે છે, તેણી કિશોરને આ ફોન આપવા પાકિસ્તાન ગયેલી.
ગુજરાત ATS કહે છે: આ ફોન ISI નો એક એજન્ટ વાપરતો હતો. અને આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી તે કારગિલમાં સ્લીપર સેલનો સંપર્ક કરતો. આ એજન્ટે ભારતીય વાયુદળના સૈનિક સંતોષ ઉર્ફે સિંટુ સીતારામ ભાટીયાના ફોનમાં માલવેર ઘૂસાડી દીધો. સંતોષ જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ એરબેઝ પર નોકરી કરે છે. આ રીતે આ તમામ શખ્સોએ ભારતીય કોમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી લીધી. જેનાથી ભારતની સલામતી સામે જોખમ ઉભું થયું.
ગુજરાત ATS એ જામનગરના મોહમ્મદ, તારાપુરના લાભશંકર અને જામનગરના અસગર મોદી વિરુદ્ધ IPC ની કલમ 121-A, 123 અને 120-B (પૂર્વ આયોજિત કાવતરૂં) તથા IT એક્ટની કલમ 43, 66, 66F (1) (b) મુજબ ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એકાદ વર્ષ અગાઉ આ પ્રકરણની કેટલીક જાહેર વિગતો Mysamachar.in દ્વારા અત્રે ઉલ્લેખ થયેલી. જેમાં લાભશંકર અને અસગરના નામો હતાં. તેમાં હવે મોહમ્મદ નું નામ ઉમેરાયું છે. ત્યારથી અત્યાર સુધી મોહમ્મદ જામનગરમાં શું કરતો હતો ? કયાંય અવરજવર કરતો ? તેના સંપર્કમાં કોણ કોણ હતું ? વગેરે માહિતીઓ પણ સંવેદનશીલ અને ગંભીર હોય શકે છે. આ આખા પ્રકરણમાં જામનગર પોલીસ રેકર્ડ પર કયાંય હોય, એવું હાલ દેખાયું નથી.