Mysamachar.in:જામનગર
જામનગરને પૂંછડિયા શહેર નામનું ટેગ ઘણાં વર્ષોથી એવું ચોંટી ગયું છે કે ઉખડવાનું નામ નથી લેતું ! જામનગરને રાજકોટની સરખામણીએ બહુ ઓછી સુવિધાઓ અને ઓછાં લાભો મળે છે. રાજકોટમાં નેતાઓ બળુકા છે અને લોકો મહત્વાકાંક્ષી છે – તેથી રાજકોટને સરકાર ‘સાચવે’ છે, એવું પણ લોકો કહી રહ્યા છે ! જામનગર જિલ્લામાં ગત્ વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓએ શાસકપક્ષને 80 ટકા બેઠકો, સારાં એવાં મતોની સરસાઇથી આપી છતાં બદલામાં, શહેર અને ગ્રામ્યનાં લોકોને ગુજરાત સરકાર સમ ખાવા સારો એસટી ડેપો પણ આપી શકતી નથી ! રાજકોટમાં એક આધુનિક બસ પોર્ટ સહિત બબ્બે એસટી ડેપો કાર્યરત છે છતાં આવતીકાલે રાજ્યનાં પરિવહનમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ત્રીજા એસટી ડેપોનું ઉદઘાટન થઈ રહ્યું છે. જયારે જામનગરમાં એક જ દાયકાઓ જૂનો ડેપો અને એ પણ ખખડધજ !
જામનગરમાં એસટી ડેપો તૂટી પડે અને લોકો કાટમાળ હેઠળ દબાઈ જાય, પછી જ આગેવાનો જાગશે ?! એવો પ્રશ્ન લોકો રોષસહ પૂછી રહ્યા છે. જામનગરને નવું અને આધુનિક બસ પોર્ટ મળે તે માટે નેતાઓએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતો અત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં પડી છે ?! જામનગર શાસકપક્ષનાં પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટર ઉપરાંત અન્ય એક નેતા બી.એચ.ઘોડાસરા ભૂતકાળમાં રાજ્યનાં એસટી નિગમનાં ચેરમેન રહી ચૂક્યા છે. બીજેપીના હાલનાં જિલ્લા અધ્યક્ષ પણ ભૂતકાળમાં એસટી નિગમમાં ડાયરેક્ટર રહી ચૂકયા છે. આ બધાં પદોનો જામનગરનાં લોકોને શું લાભ મળ્યો ? અને મહત્વની વાત એ છે કે – જામનગરનો એસટી ડેપો વર્ષોથી ખખડધજ છે, એ મુદ્દો સરકારનાં ધ્યાનમાં પણ હશે જ.