Mysamachar.in:ગુજરાત
રાજ્યમાં સરકારી વીજકંપનીઓ ગ્રાહકોને 24 કલાક વીજળી આપે છે અને સરકાર દ્વારા વીજદરમાં કોઈ વધારો પણ કરવામાં આવ્યો નથી, આ પ્રકારના દાવાઓ રાજય સરકાર તથા જનપ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે થતાં રહે છે, આ દાવાઓ પાછળની જમીની હકીકત દરેક વીજગ્રાહકે જાણવી આવશ્યક છે. ગુજરાતમાં વર્ષોથી વીજળીનાં દરો વધારવામાં આવ્યા નથી એવા દાવાની સાથે-સાથે વાસ્તવિકતા એ છે કે, સરકારી વીજકંપનીઓ ગ્રાહકોને દરવધારાનો ડામ ‘આડકતરી’ રીતે આપે જ છે ! વર્ષ 2022/23 માં આ રીતે વીજગ્રાહકોના ખિસ્સામાંથી વધારાનાં રૂ.1,656 સેરવી લેવામાં આવ્યા. ફયૂઅલ સરચાર્જ અને ઈલેક્ટ્રીક ડ્યૂટીના નામે આ વધારાનાં નાણાં 200 યુનિટ વીજળી વાપરતાં ગ્રાહકો પાસેથી વસૂલી લેવાયાં. રાજ્યમાં ગ્રાહકોની સંખ્યા 1.65 કરોડ છે, કલ્પના કરો – સરકારની તિજોરીમાં વધારાનું કેટલું નાણું ઠલવાયું ?! આ આંકડો નિયમિત બિલ ઉપરાંતનો વધારાનો આંકડો છે.
ગત્ વર્ષે આ રીતે વીજગ્રાહકોને વીજદરમાં 9 ટકા વધારો સહન કરવો પડ્યો. અને, સાથેસાથે એ પણ જાણી લ્યો કે, એપ્રિલ-2022ની સરખામણીએ તમારૂં એપ્રિલ-2023 નું વીજબિલ પણ મોંઘુ આવ્યું છે ! ભાવવધારો આ વર્ષે પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે ! ફયૂઅલ એન્ડ પાવર પરચેઝડ પ્રાઈસ એડજસ્ટમેન્ટ એટલે કે FPPA નાં નામે ફયૂઅલ સરચાર્જ અને ઈલેક્ટ્રીક ડ્યૂટીમાં થયેલો આ ભાવવધારો નાનાં વીજગ્રાહકોને સહન કરવાનો વારો આવ્યો છે. 13 મહિનાથી આ વસૂલાત કરવામાં આવી રહી છે ! આંકડાની રમતો નાનાં વીજગ્રાહકોને મોંઘી પડી રહી છે.