Mysamachar.in-ગુજરાત:
આમ તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે તે વાત સર્વ વિદિત છે, પણ છતાં દારુ ઘુસી પણ જાય પકડાઈ પણ જાય અને પીવાઈ પણ જાય છે, આ તમામ બાબતો વચ્ચે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે. લીકર પરમીટ કે એટલે વાઈન સોપની પરવાનગી મળી જતા પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને લાયસન્સ ધરાવતી હોટેલો હવે દારૂનું વિતરણ કરી શકશે.આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ દારુ આપી શકશે. રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પરવાની આપવામાં આવી છે. વધુ 5 હોટેલોને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ 64 હોટેલ પ્રવાસીઓ, વિદેશી નાગરિકોને વિદેશી દારૂ પિરસવાની પરમિટ ધરાવતી થઇ હોવાનો એક આંકડો સામે આવ્યો છે.
અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ વાયબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઇવસ્ટાર અને ઉચ્ચ રેન્ક ધરાવતી હોટેલોને લિકર પરમિટ આપી રહી છે.રાજ્યમાં હાલની સ્થિતિએ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે. સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં 8054 હેલ્થ પરમિટ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં 1989 લોકો હેલ્થ પરમિટ ધરાવે છે.તો જામનગર જીલ્લામાં 1500થી વધુ લોકો પાસે આવી પીવાની પરમીટ છે.
સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજયમાં વસતી વ્યકિતઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે. રાજયના વતનીઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64), રાજયમાં વસવાટ માટે આવતી રાજય બહારની વ્યકિતઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64-બી), રાજયમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે હેલ્થ પરમિટ (નિયમ 64-સી), કામચલાઉ રીતે રાજયમાં વસવાટ કરતી વિદેશી વ્યકિતઓ, રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ સાત દિવસ માટે રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓ,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક/શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજય બહારની વ્યકિતઓને પરમિટ ઇશ્યુ કરાય છે.આમ ગુજરાતમાં પરમીટ સિવાય દારુ વેચાણ કરવો કે પીવો તે ગુજરાતમાં પ્રતિબંધિત છે અને આવું કરનાર સામે ગુન્હાઓ દાખલ કરાય છે, પણ કટાક્ષ એવો પણ થાય છે કે જેટલો દારુ ગુજરાતમાં પકડાય છે તેના કરતા વધુ પ્યાસીઓ પી જતા હોવાનું પણ કહેવાય છે.