Mysamachar.in:જામનગર
જામનગર કોર્પોરેશન હસ્તકનો કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ હવામાં ચાલે છે ! આ પ્લાન્ટમાં વહીવટ કરોડોનો છે છતાં સ્થિતિ આ છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામ પેટે કોન્ટ્રાક્ટર પાર્ટીને જે કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે તે સઘળું નાણું કરદાતા નગરજનોનું છે. તેનો ખર્ચ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે કેમ ? તે જોવાની કોર્પોરેશનમાં કોઈની ફરજ કે જવાબદારી જ નથી ?! કચરાનાં આ પ્લાન્ટમાં કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ.? કોન્ટ્રાક્ટરને જે નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે, તે ખર્ચ નગરજનોનાં હિતમાં છે કે કેમ ? આ બધી જ બાબતો કોર્પોરેશને ચકાસવી જોઈએ, પણ આવુ થતું નથી !
Mysamachar.in દ્વારા આજે આ પ્લાન્ટની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી નિભાવતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં વડા મુકેશ વરણવાને ફોન કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, આ પ્લાન્ટની કામગીરીનો રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીને આપવાનો થાય છે કે કેમ ? એ અંગે હું અજાણ છું. બ્રાન્ચ લેવલે સ્ટેન્ડિંગ કમિટીને રિપોર્ટિંગ કરવામાં આવે છે કે કેમ ? તેની તપાસ કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવમાં આ બાબત સ્પષ્ટ લખવામાં આવી છે છતાં આ અધિકારી આ બાબત વિષે અજાણ છે !
Mysamachar.in દ્વારા આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારિયાનો પણ ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, આ પ્રકારના રિપોર્ટિંગ અંગે કોઈ ઠરાવ થયો નથી. આ પ્લાન્ટ વિરૂદ્ધ તેઓને કોઈ રજૂઆત મળી નથી. આ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ તપાસ કરવાનો હાલ કોઈ સવાલ ઉભો થતો નથી. આ પાર્ટીનાં બિલો હાલ પાસ કરવામાં આવ્યા નથી.
બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્લાન્ટ 2022 નાં જાન્યુઆરી માસમાં શરૂ થયો એ પછી, ગત્ 29-10-2022ના દિને કમિટીની બેઠકમાં ઠરાવ નંબર 1224 માં સ્પષ્ટ લખ્યું છે કે, આ પ્લાન્ટના વખતોવખતના ખર્ચ અન્વયેનું ‘માસિક’ પત્રક ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીને મોકલી આપવાનું રહેશે. હવે સવાલ એ છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દર મહિને આ રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીને આપે છે કે કેમ ? તે ક્યાંય સ્પષ્ટ થતું નથી !
કમીટીના આ ઠરાવ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં વડા અજાણ છે ! અને, કોઈ પણ પ્લાન્ટ ચાલતો હોય તે પ્લાન્ટની કોન્ટ્રાક્ટર પાર્ટીએ તથા સંબંધિત વિભાગે શાસકપક્ષની કમિટીને એટલે કે સ્ટેન્ડિંગ કમિટીને રિપોર્ટિંગ કરવું જ જોઈએ. તો જ શાસકો લોકો વતી નક્કી કરી શકે કે, કોઈ પણ પ્લાન્ટમાં લોકોનાં નાણાંનો દુરૂપયોગ થતો નથી ને ? પરંતુ અફસોસની વાત એ છે કે, ગુલાબનગર ખાતેનો કચરાનો આ પ્લાન્ટ હવામાં ચાલે છે ! તેની કામગીરી અને ખર્ચ અંગે વિભાગ કે ચૂંટાયેલી પાંખ – કોઈને રિપોર્ટિંગ થતું નથી ! આ કોન્ટ્રાક્ટર પાર્ટીને કામગીરીનાં રિપોર્ટ વિના જ નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે ?